રાજકોટમાં વૃદ્ધનું શંકાસ્પદ મોત, સત્ય હકીકત તપાસવા કોર્ટે કર્યા આદેશ - Suspicious death of old man - SUSPICIOUS DEATH OF OLD MAN
Published : Jul 13, 2024, 7:30 PM IST
રાજકોટ: તારીખ 2 મે 2024ના રોજ આનંદ અમરશીભાઇ સીતાપરાએ પોલીસ કમિશ્નરને અરજી કરતા ગંભીર આક્ષેપ કર્યા હતા કે, તેમના પિતા ગવરીદડમાં સિકયુરીટી ની નોકરી કરે છે. અને તારીખ 12 એપ્રિલના રોજ સવારે 6.30 વાગ્યે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. તે પછી તેના પિતાના ફોનમાંથી કોઇ અજાણ્યા વ્યકિતએ વાત કરી કે આ ફોનવાળી વ્યકિત બેડી ચોકડી પાસે બેભાન હાલતમાં પડેલ છે. તેઓ સ્થળ પર પહોંચી તુરંત તેમના પિતાને રીક્ષામાં સિવિલ હોસ્પિટલે લઇ જતા હતા. ત્યારે તેઓએ અર્ધ બેભાન હાલતમાં જણાવ્યું હતું કે, મને પડખાના ભાગે બહુ દુ:ખે છે, મને ખુબ માર મારેલ છે. એટલું બોલી તે બેભાન થઇ ગયા અને સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું.
પછી પરિવારના સભ્યોને જાણવા મળ્યું કે તારીખ 12 એપ્રિલના રોજ ગવરીદડમાં કથા-સપ્તાહનું આયોજન હતું. તેમાં અમરશીભાઈ સિકયુરીટી તરીકે હતા. ત્યાં કોઇ માથાકૂટ થતા પીસીઆર વાનમાં આવેલી પોલીસે અમરશીભાઈને પીસીઆર વાનમાં બેસાડી લઇ ગઇ હતી. જે પછી તેઓ બેડી ચોકડીએથી અર્ધ બેભાન મળ્યા હતા. જેથી પોલીસે માર મારતા તેમનું મોત થયાનો આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો હતો. આ અંગે પોલીસ કમિશ્નરે કોઇ એકશન ન લેતા આનંદભાઇએ વકીલ મારફતે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે પોલીસ મથકના પીઆઇને સૂચના કરી હતી કે, આ ઘટનામાં સત્ય હકીકત તપાસવામાં આવે અને જો એફઆઇઆર થતી ન હોય તો કયા કારણોસર એફઆઇઆર થતી નથી તેના કારણો જણાવવામાં આવે.