'મહા' ચક્રવાત: જામનગર પરથી ખતરો ટળ્યો, છૂટાછવાયા વરસાદની સંભાવના
જામનગરઃ સમગ્ર રાજ્યમાં 'મહા' વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે, ત્યારે બુધવારે આ ચક્રવાત દક્ષિણ તરફથી દરિયામાં ફંટાયું છે. જેના કારણે જામનગર પર કોઇ વાવાઝોડાની અસર જોવા મળી નથી અને શહેર સહિત પંથકમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. જેના કારણે ખાસ ખેડૂતોએ તકેદારી રાખવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. મહત્વનું છે કે, 'મહા' ચક્રવાતના એલર્ટને પગલે દિલ્હીથી NDRFની ટીમ જામનગર પહોંચી હતી અને આ ટીમ દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવ્યા હતાં. જો કે, હાલ વાવાઝોડું દરિયામાં ફંટાતા શહેરમાં ખતરો ટળ્યો છે.