અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી પડતા 3ના મોત, 6 ઘાયલ
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ધરાશાયી થઈ હતી. જેમાં 3 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાનો બનાવ બાજુમાં આવેલી કેટરિંગના શેડ પાસે બન્યો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે 6 જેટલા લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં એક વ્યક્તિના બે પગ કપાઇ જતા તેની હાલ ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક ટાંકી નમી ત્યારે કારીગરો પૈકી જે હતા હાજર તેઓ દોડીને બહાર નીકળી ગયા હતા. જો કે 9 લોકો બહાર નીકળી શક્યા ન હતાં. હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધા બાદ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. એન્જિનિયરને નોટિસ આપવામાં આવી છે. બોપલમાં બીજી 4 ટાંકીઓ છે તેની અતયરે તપાસ કરવા જણાવવામાં આવ્યું છે. જો જર્જરિત હાલતમાં હોય તો તેને કાલ સુધીમાં ઉતારી લેવા આદેશ કર્યો છે.