સુરત રેલવે સ્ટેશન વિસ્તારની 3 હોટલોને ફાયર વિભાગે સીલ કરી - Surat News
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jun 29, 2024, 8:32 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2024/640-480-21828519-thumbnail-16x9-b-aspera.jpg)
સુરતઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગજનીની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીના કાયદાનો કડકાઈથી અમલ તંત્ર દ્વારા શરૂ કરાવાયો છે. તેના ભાગરૂપે પાછલા એક મહિનામાં સુરત શહેરમાં ફાયર એનઓસી વિનાની સૈંકડો મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે. આજે સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સુરત રેલવે સ્ટેશન નજીક આવેલી 3 હોટલમાં સીલીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેર ઔદ્યોગિક નગરી હોવાને કારણે બહારથી આવતા લોકોની અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આવનારા વેપારીઓની સંખ્યા ખૂબ વધુ હોય છે. અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ સ્ટેશનથી ઉતરીને રિંગ રોડ પરની ટેક્સટાઈલ માર્કેટની આજુબાજુની હોટલોમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય છે. જેથી રિંગ રોડ અને સ્ટેશન વિસ્તારની અંદર અનેક હોટલો ચાલી રહી છે. હોટલોમાં ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જે પણ જોખમી પૂરવાર થાય તેવી હોટલોના બેઝમેન્ટને સીલ કરવામાં આવી રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે. આજે રેલવે સ્ટેશનની આસપાસની હોટલો તપાસ કરતા 3 જેટલી હોટલોમાં તપાસ કરાતા બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ ચલાવતા હોવાની ગંભીર બાબત ધ્યાન પર આવી હતી. એટલું જ નહીં પરંતુ બેઝમેન્ટમાં બહારથી આવતા વ્યક્તિઓ માટે ગાદલા નાખી દેવામાં આવતા હોય છે. એક પ્રકારે તેનો હોટલ રૂમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આગ લાગે તો ગંભીર દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા છે. આવી ગંભીર બાબત ધ્યાનમાં આવતા તત્કાલ બેઝમેન્ટને સીલ મારી દેવામાં આવ્યા છે.