રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો એક થયા, આ દિગ્ગજ વકીલ નિ:શુલ્ક કેસ લડશે - Rajkot TRP GameZone fire accident
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg?imwidth=128)
Published : Jun 26, 2024, 10:41 PM IST
રાજકોટ : ગુજરાતભરને હચમચાવી નાખનાર TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં કમોતને પામેલા મૃતકોના પરિવાર હવે એક થયા છે. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ એક સાથે આવી કાનૂની લડત લડવા તૈયારીઓ શરૂ કરી છે. બધા લોકો સાથે મળી એક યુનિયનમાં જોડાઈ વકીલાતનામામાં સહી કરશે, જેમાં પીડિત પરિવારો વતી વકીલ નરેન્દ્રસિંહ જાડેજા નિ:શુલ્ક કેસ લડવાના છે. એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, બધાને સાથે રાખીને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવવા તૈયારી છે. હાલ 10 જેટલા પરિવારજનો સંગઠિત થયા છે અને એસોસિએશનમાં જોડાવા તૈયાર છે. જયારે બાકીના લોકો પણ તેમની સાથે જોડાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અમે પોલીસ તપાસમાં કોઈ ખલેલ પહોંચાડવાના નથી, પરંતુ પોલીસ તપાસમાં કોઈ ત્રુટિ રહી જશે તો તેને પૂરી કરવા અમે આગળ વધીશું. કોઈપણ ગુનેગાર છટકી ન શકે અને તેનો બચાવ ન થાય તે માટે અમે આગળ વધીશું.