કચ્છઃ પ્રયાગરાજના મહાકુંભના મેળામાં બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર શખ્સને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ શખ્સે કુંભમેળા ઉપરાંત અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની પણ ધમકી આપી હતી. આરોપી અરુણ જોશી મૂળ મધ્યપ્રદેશનો છે અને ગાંધીધામમાં શાકભાજીની લારી ચલાવે છે. આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ-351(2)(3)(4), 353(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે.
કુંભમેળામાં, અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી
અમદાવાદ આર.પી.એફ.ના સરકારી મોબાઇલ નંબરના વ્હોટ્સએપમાં 1 ફેબ્રુઆરી 2025ના સવારે 8:15 વાગ્યે એક નંબર પરથી અંગ્રેજીમાં વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં, અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે 1 ફેબ્રુઆરી 2025 ના 12:20 વાગ્યે આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
12 ફેબ્રુઆરીના બ્લાસ્ટ થવાની આપી હતી ધમકી
અમદાવાદ આ.પી. એફ કર્મચારીને આવેલ મેસેજમાં "Alla hu akbr Pakistan zindabad Salam o walekum 12/02/2025 ko hm kafiro ko jahannum bhejenge insha allah rok sko to rok ke dik ha dena, kumbh mela, Airport, Railway station ab hoga bda dhamaka Ahmedabad railway station, Ahmedabad Airport" લખેલું હતું. આ ગુનાહિત ઘમકી આપતી પોસ્ટ પણ કરવામાં આવી હતી.
ટેકનીકલ તથા હ્યુમન ઈન્ટેલથી તપાસ કરતાં વ્હોટ્સએપ મેસેજ કરનારને ઝડપ્યો
આરોપીની ધમકીના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાત રાજ્ય રેલવેઝના ઇન્ચાર્જ પોલીસ મહાનિર્દેશક પરિક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલ્વેના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાના સતત માર્ગદર્શન મુજબ પશ્ચિમ રેલવે એલ.સી.બી., ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની ટીમ બનાવી ટેકનીકલ તથા હ્યુમન ઈન્ટેલીજન્સથી તપાસ કરતાં વ્હોટ્સએપ મેસેજ કરનારને ઝડપીને તેની અટક કરવામાં આવી છે.
ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હોવાથી તેને હેરાન કરવાના ઇરાદાથી વ્હોટ્સએપ મેસેજ કર્યો
આરોપીએ જે સીમ નંબરથી મેસેજ કરેલો તે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના બાકી હોવાથી, ઉઘરાણી કરવા છતાં પૈસા આપતો ન હોવાથી તેને હેરાન કરવાના ઇરાદાથી વ્હોટ્સએપ મેસેજ કરેલો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે. તેમ છતાં ગુનાના મુળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની ઓળખ મૂળ મધ્યપ્રદેશના 32 વર્ષીય અરૂણકુમાર દિનેશચંન્દ્ર જોષી તરીકે થઈ છે અને હાલમાં તે ગાંધીધામમાં શાકભાજીની લારી તથા કરીયાણાની દુકાન ચલાવીને ધંધો કરતો હતો.