સુરતમાં ચાર્જમાં મુકેલ ઈ- બાઈક ફાટતાં લાગી આગ, સાથે ફાટ્યું સિલિન્ડર, એકનું નીપજ્યું મોત - E bike broke down in Surat
Published : Jun 21, 2024, 6:26 PM IST
|Updated : Jun 21, 2024, 7:33 PM IST
સુરત: ફરી એક વખત ઇ-બાઇકમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ઇ-બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગતાં અફરાતફરી મચી ગઇ હતી. એટલું જ નહીં, આગના કારણે નજીકમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આગ લાગતાં ત્રણ લોકો મકાનમાં જ ફસાયા હતા. જ્યારે બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત 18 વર્ષીય યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આગની ઘટનામાં એક વૃદ્ધ વ્યક્તિ પણ દાઝ્યા હતા.
બ્લાસ્ટ થતા ગેસ સિલિન્ડર પણ ફાટ્યો: લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા લક્ષ્મીપાર્ક રોહાઉસ સોસાયટીના એક મકાનમાં ચાર્જિંગમાં રહેલું ઇ-બાઈક બ્લાસ્ટ થતા ગેસ સિલિન્ડટ ફાટ્યો હતો. જેનાથી વિકરાળ આગ લાગી હતી. આગની ઘટનાના ફર્સ્ટ પર્સન એવા સોસાયટીના પ્રમુખ પ્રવીણભાઈ એ જણાવ્યું હતું કે, નીચે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચતા એક પરિવારના પાંચ સભ્યો ફસાય ગયા હતા. જેમાં પરિવારની મોટી દીકરી બળી ગઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું. આ દીકરી આગ લાગી હોવાની જાણ થતા માતા-પિતાને બચાવવા ગઈ હતી. જો કે, ધુમાડામાં ગુંગળાઈને ઢળી પડી હતી. ત્યારબાદ આગની ઝપેટમાં આવી જતા બળીને ભડથું થઈ ગઈ હતી.
મોટી દીકરી મહિમા આગમાં બળી: પ્રવીણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીપાર્ક રો-હાઉસ સોસાયટીના મકાન નંબર 8માં સિરાવિ પરિવાર રહે છે. 46 વર્ષીય દોલારામ સિરાવિ ગ્રાઉન્ડ ફ્લોર પર હાર્ડવેરની દુકાન ચલાવે છે. ઉપરના બે માળમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે દીકરી અને એક દીકરો છે. મોટી દીકરી મહિમા 18 વર્ષની હતી, જેનું આ આગમાં મૃત્યુ થયું હતું.