ગુજરાત

gujarat

રાજ્યમાં આ વર્ષે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું: કૃષિમંત્રી - 70 lakh hectares of land Cultivated

By ETV Bharat Gujarati Team

Published : Aug 1, 2024, 7:32 PM IST

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેકટરના વધારા સાથે મગફળીનું 18.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. કુલ તેલીબીયા પાકોનું 22.90 લાખ હેકટરમાં વાવેતર થયું છે.

મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે
મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે (Etv Bharat Gujarat)

70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું (Etv Bharat Gujarat)

ગાંધીનગર:સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે, તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી.

81 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર:કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 81 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર: કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે 23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

તેલીબીયાના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેકટરનો વધારો:કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 21.80 લાખ હેક્ટર હતું. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેકટરનો વધારો થયો છે.

મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર: રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન આશરે 16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે અત્યર સુધીમાં આશરે 2.5 લાખ હેકટરના વધારા સાથે 18.80 લાખ હેકટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.

ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સમયસર વરસાદ આવતા ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યમાં આ વર્ષે પણ ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે. ખરીફ પાકોના વાવેતરમાં હજુ પણ વેગ આવવા સાથે વિસ્તારમાં પણ વધારો આવવાની પૂરતી સંભાવનાઓ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

  1. "રાસાયણિક ખાતર અને ઝેરી દવાથી છૂટકારો, હવે પ્રાકૃતિક ખેતીનો વારો" ભુજના ખેડૂતે જાતે જ બનાવ્યા ખાતર અને દવા - farmer practicing organic farming
  2. માંડવીની આ મહિલા પ્રાકૃતિક ખેતી કરી, કરે છે લાખોની કમાણી... - organic farming

ABOUT THE AUTHOR

...view details