ગુજરાત

gujarat

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્ર : ચૈતર વસાવાએ "ભારત બંધ"ને સમર્થન આપ્યું, વિપક્ષે વિરોધ નોંધાવ્યો - Monsoon Session Live

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 11:59 AM IST

Updated : Aug 21, 2024, 2:44 PM IST

ગુજરાત વિધાનસભા ચોમાસું સત્ર
ગુજરાત વિધાનસભા ચોમાસું સત્ર (ETV Bharat Gujarat)

ગાંધીનગર :ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર આજે 21 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. સરકાર આ સત્રમાં કેટલાક મહત્વના બિલ રજૂ કરશે, જેમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો તથા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કાયદા લાવવા બિલ રજૂ કરવામાં આવશે. બીજી તરફ વિપક્ષ જનતાના પડતર પ્રશ્નો સહિતના વિવિધ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે.

LIVE FEED

2:37 PM, 21 Aug 2024 (IST)

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો પ્રારંભ, વંદે માતરમ ગાનથી શરુ થયો

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી શરુ થયો હતો. વિધાનસભાની પેટા ચુટણી બાદ પ્રથમ વખત ચોમાસુસત્ર મળી રહયુ છે. ગૃહ ચાલુ થયા બાદ કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલ અર્જુનભાઈ મોઢવાડીયા, સી.જે.ચાવડા, અરવિદ લાડાણી અને ચિરાગ પટેલે એક સાથે ગૃહમાં એન્ટ્રી કરી મૂળ ભાજપના સભ્યો મને-કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું. જો કે મોઢવાડીયા ગૃહ શરૂ થયું એ પહેલા જ ગૃહમાં બેસી ગયા હતા પણ આ મેગા ગ્રાન્ડ એન્ટ્રી માટે એમને ગૃહ માંથી પાછા બહાર મોકલ્યા હતા. અગાઉ વિધાનસભા વિરોધ પક્ષના નેતા રહી ચુકેલા અર્જુન મોઢવાડિયાને અધ્યક્ષની પીઠ સામે પહેલી હરોળમા સ્થાન મળ્યુ છે. તેઓ વિપક્ષના નેતા રહી ચૂક્યા હોવાથી આ સ્થાન ઉપલબ્ધ થયુ છે. વિધાનસભામા બેસવાની જગ્યા બદલાતા અર્જુન મોઢવાડિયા પોતાની જૂની જગ્યાએ પડેલી ગાદી લઇને નવી જગ્યાએ તેને મૂકીને ગૃહમા બેઠા હતા. અગાઉ વિપક્ષમા રહેતા ડો.સી.જે. ચાવડા હવે ભાજપના ધારાસભ્ય છે, ત્યા પહેલાથી જ અડધો ડઝન પૂર્વ મંત્રીઓ બેસે છે. તથા સી.જે.ચાવડાને અધ્યક્ષની સામે પરંતુ બીજી હરોળમા પૂર્વ રાજ્ય મંત્રી કેશોજી ચૌહાણની બાજુમાં સ્થાન મળ્યું છે.

1:13 PM, 21 Aug 2024 (IST)

ચૈતર વસાવાએ આપ્યું "ભારત બંધ"ને સમર્થન

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા સત્ર દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચૈતર વસાવાએ જણાવ્યું કે, આ સત્રમાં આરક્ષણ, મહિલાઓ પર થતા અત્યાચાર, શિક્ષકોના હિતની વાત એવી ઘણી ચર્ચા અને પ્રશ્નો અમારે કરવા હતા. પરંતુ ચોમાસુ સત્ર માત્ર પૂર્ણ કરી દેવું હોય તેમ માત્ર ત્રણ દિવસનું સત્ર રાખવામાં આવ્યું અને પ્રશ્નોત્તરી કાળ પણ રદ કરવામાં આવ્યો. દલિત સમાજ દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોની અંદર વહેલી સવારથી તેની અસર જોવા મળી રહી છે. તે ભારત બંધના એલાનને પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ સમર્થન જાહેર કર્યું હતું.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (ETV Bharat Gujarat)

12:09 PM, 21 Aug 2024 (IST)

કોંગ્રેસ પક્ષે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

વિધાનસભા સત્રની પ્રથમ બેઠક આજે બપોરે 12 કલાકે શરૂ થશે, જેમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ત્યારબાદ સરકારી કામકાજ પર ચર્ચા થશે. જોકે, સત્ર શરુ થાય તે પહેલા જ વિપક્ષ વિરોધના મૂડમાં દેખાય છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ગુજરાત વિધાનસભા સામે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં સરકારી કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે કાયમી ભરતી કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટીદારો દૂર કરી તાત્કાલિક ચૂંટણી કરવાની માંગને લઈને વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસ પક્ષે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો (ETV Bharat Gujarat)
Last Updated : Aug 21, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details