ગુજરાત

gujarat

ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ, પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી - Vande Metro Train

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 4:17 PM IST

કચ્છ જિલ્લાના પ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે અને લોકોની જે માંગ હતી, મેટ્રો ટ્રેનની એ મુજબ 16મી સપ્ટેમ્બરથી ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ સ્ટેશન પર વર્ચ્યુઅલ જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપશે. Vande Metro Train

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ
ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway))

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway) (etv bharat gujarat))

કચ્છ: જિલ્લાના પ્રવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે અને લોકોની જે માંગ હતી, મેટ્રો ટ્રેનની એ મુજબ 16મી સપ્ટેમ્બરથી ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. કચ્છને વંદે મેટ્રો ટ્રેન મળી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ સ્ટેશન પર વર્ચ્યુઅલ જોડાઈને ટ્રેનને લીલી ઝંડી આપશે. જેથી ભુજ-અમદાવાદનું ભાડું 430 રૂપિયા અને મિનિમમ ભાડું 30 રૂપિયા રહેશે. જોકે હાલ ખાનગી બસો અમદાવાદનું 800 થી 1000 જેટલું ભાડું વસૂલી રહી છે ત્યારે અડધી કિંમતે લોકો ઝડપી અને આરામદાયક મુસાફરી કરી શકશે. ટ્રેનના પ્રથમ દિવસે એટલે કે સોમવારના રોજ ભુજથી અમદાવાદ સુધી લોકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. કચ્છની જનતાને આ ટ્રેન સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા રેલ્વે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે.

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway))

પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી: રેલ્વે વિભાગ દ્વારા કચ્છને વંદે મેટ્રો ટ્રેન ફાળવવામાં આવી છે. જે આગામી 16 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભુજ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેનને ફ્લેગ ઓફ કરવામાં આવશે. સરહદી વિસ્તારના કચ્છને જીલ્લામથક ભુજથી હાઈસ્પીડ ટ્રેન મળતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના વિડિયો પણ શેર કરી રહ્યાં છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા આ વંદે મેટ્રો ટ્રેનનો સમય જાહેર કરવામાં આવ્યો છે જે લોકોને ઉપયોગી થાય તેમ છે.

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway))

340 કિલોમીટરનું અંતર 5:45 કલાકમાં: રેલ્વે વિભાગ દ્વારા જાહેર કરેલી વિગતો મુજબ, ભુજથી આ વંદે મેટ્રો ટ્રેન સવારે 05:05 વાગ્યે અમદાવાદ જવા માટે ભુજ રેલવે સ્ટેશન પરથી ઉપડશે અને 10:50 વાગ્યે અમદાવાદ કાલુપુર સ્ટેશને પહોંચશે. આ વંદે મેટ્રો ટ્રેન 110 કિલોમીટરની સ્પીડે દોડશે અને કુલ 340 કિલોમીટરનું અંતર 5:45 કલાકમાં કાપશે. આ જ મેટ્રો ટ્રેન સાંજે 5:30 વાગ્યે પરત ભુજ આવવા નીકળશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ આવી પહોંચશે.

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway))

ભુજથી અમદાવાદનું ભાડું રૂ.430 રહેશે: ઉલ્લેખનીય છે કે, આ વંદે મેટ્રો ટ્રેનની મુસાફરી અનરિઝર્વ છે. જેથી કરીને પ્રવાસીઓ તેની એડવાન્સ બુકીંગ કરાવી શકાશે નહીં માત્ર સ્ટેશન પરથી જ આ ટિકિટ મેળવી શકાશે. ભુજથી અમદાવાદનું ભાડું રૂ.430 નક્કી કરવામાં આવ્યું છે. આ વંદે મેટ્રોમાં કિલોમીટરના આધારે 1.20 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. ભુજથી અમદાવાદ અને અમદવાથી ભુજ રૂટમાં બંને તરફથી આ વંદે મેટ્રો અંજાર,ગાંધીધામ, ભચાઉ, સામખીયાળી, હળવદ, ધ્રાંગ્રધા,વિરમગામ, ચાંદલોડિયા,સાબરમતી અને કાલુપુર સ્ટેશને થોડા સમય માટે ઉભી રહેશે.

ભુજ થી અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ (gujarat govt ( western railway))

સપ્તાહમાં 6 દિવસ માટે લોકો મુસાફરી કરી શકશે: નોંધનીય છે કે, વંદે મેટ્રો ટ્રેન નંબર 94802 ભુજથી રવિવારે અને ટ્રેન નંબર 94801 અમદાવાદથી શનિવારે ઉપડશે નહીં. જેથી સપ્તાહમાં 6 દિવસ માટે લોકો આ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત ગુજરાતની મુલાકાત આગામી સમયમાં છે ત્યારે સોમવારે તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાંથી વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે ત્યારે અમદાવાદથી જ ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનને વર્ચ્યુઅલ માધ્યમથી કચ્છને સમર્પિત કરવામાં આવશે.

વંદે મેટ્રો ટ્રેનમાં 12 કોચ રહેશે: સોમવારે આ વંદે મેટ્રો ટ્રેન પ્રથમ વખત ભુજથી અમદાવાદ મુસાફરો સાથે પ્રયાણ કરશે ત્યારે કચ્છના લોકોને નિઃશુલ્ક મુસાફરી કરવા મળશે. આ ટ્રેનમાં 12 કોચ હશે અને ટ્રેનની પેસેન્જર ક્ષમતા 3200 થી વધુની છે જેમાં 1150 જેટલા પેસેન્જર બેસી શકશે અને 2058 જેટલા મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે.

ટુંક સમયમાં સિઝનલ પાસ પણ મેળવી શકાશે:ટ્રેનના 12 કોચમાં સેન્ટ્રલ એસી છે. ટ્રેનના દરેક કોચમાં 3x3 અને 2x2ની કુશનિંગ સીટ છે. કોચમાં સ્લાઈડિંગ ડોરની સાથે 4 ઓટોમેટિક દરવાજા પણ છે. વંદે મેટ્રોમાં મિનિમમ ભાડું રૂ.30 હશે. જેમાં 25 કિલોમીટરના અંતર સુધી 30 રૂપિયા તેમજ ત્યારબાદ દરેક કિલોમીટરદીઠ ભાડામાં 1.20 રૂપિયાનો વધારો થશે. આ ટ્રેનમાં પેસેન્જરોને 7 દિવસ, 15 દિવસ તેમજ 30 દિવસના સિઝનલ પાસની સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ થશે.

વેપારીઓ માટે ફાયદાકારક મેટ્રો ટ્રેન: ભુજના કાપડના વેપારી અનિલ ડાભીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને કપડાંના વેપારીઓને અવારનવાર અમદાવાદ જવું પડતું હોય છે. ત્યારે આ મેટ્રો ટ્રેન શરૂ થતાં ખૂબ ઉપયોગી થશે. વેપારીઓનો સમય બચશે કારણ કે, આ ટ્રેન માત્ર 5 કલાક જેટલા સમયગાળામાં જ અમદાવાદ પહોંચાડશે. આ સાથે એ જ દિવસે વેપારીઓ પોતાનું કામ પતાવીને ભુજ પાછા આવી શકશે. વેપારીઓની સાથે સાથે હોસ્પીટલમાં ઈલાજ માટે જતા લોકો માટે પણ આ ખૂબ ઉપયોગી રહેશે. કારણ કે, સમય બચશે એમ્બ્યુલન્સ નો ખર્ચ પણ બચશે. આ ટ્રેનની જાળવણી કરવી પણ અનિવાર્ય છે. તે વેપારી તરીકે આ ટ્રેન કાયમી માટે ચાલુ રહે તેવી અપીલ કરી હતી.

માર્કેટિંગના ભાગરૂપે પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી: સ્થાનિક ભરત સંઘવીએ વંદે મેટ્રો ટ્રેન અંગે આભાર વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, ભુજથી અમદાવાદ મેટ્રો ટ્રેન શરૂ થવા જઇ રહી છે. ત્યારે તમામ લોકોને ખૂબ ફાયદો થશે અને સમય તેમજ ખર્ચ પણ બચશે. જોકે ભુજનું રેલવે સ્ટેશન શહેરની બહાર આવેલું છે ત્યારે રિક્ષાભાડું 100થી 200 જેટલું વસૂલવામાં આવે છે. ત્યારે એસટી વિભાગ દ્વારા રેલવે સ્ટેશન સુધીની બસ સેવા અગાઉ જે 10 રૂપિયામાં ચાલુ હતી તે ફરીથી શરૂ કરવામાં આવે જેથી લોકો વ્યાજબી ભાવે અમદાવાદ પહોંચી શકે.આ સાથે જ રેલવે વિભાગે પણ માર્કેટિંગના ભાગરૂપે પ્રથમ દિવસે કચ્છના લોકોને નિઃશુલ્ક મુસાફરી કરાવશે. જેથી લોકો જાણી શકે કે કેવી સુવિધાઓ છે, લોકો આરામદાયક મુસાફરી કરી શકશે. જેથી રેલ્વેનું આ પગલું પણ ખૂબ આવકારદાયક પગલું છે.

આ પણ જાણો:

  1. જામનગરમાં પ્રસાદ ખાધા બાદ 100 જેટલાં બાળકોને ફૂડ પોઈઝનિંગ, જીજી હોસ્પિટલના બાળકોના વિભાગમાં બેડ ઓછા પડ્યા - Food poisoning in jamanagar
  2. મોરબી આવી કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમ, જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો - Central disaster team visit morbi

ABOUT THE AUTHOR

...view details