ઘોઘંબાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં મોટાપાયે મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં ગંભીર ફરિયાદોને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યો હતો. ઘોઘંબા તાલુકાની પાલ્લા જોરાપુરા વાંગરવા અને માલુ ગ્રામ પંચાયતમાંથી 1857 બોગસ જોબકાર્ડ મળી આવ્યા હતા. સરપંચ તલાટી અને તાલુકા વિકાસ અધિકારી સહિત સરકારી કર્મચારીઓની મિલીભગતથી 80 લાખનું કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
71 આરોપીઓ સામે ગુનોઃ આ કેસમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય ગ્રામ પંચાયતના સરપંચો તલાટીઓ અને જે તે વખતના તાલુકા વિકાસ અધિકારીઓ સહિત 71 આરોપીઓ સામે રાજગઢ અને દામાવાવ પોલીસ મથકે ઉચાપતનો ગુનો નોંધાયો હતો. જેથી સરકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તાલુકાના ગ્રામ પંચાયતમાં 2009 થી 2014 ના સમયગાળા દરમિયાન એક જ વ્યક્તિ અને કુટુંબના નામે બોગસ જોબ કાર્ડ બનાવી દીધા હતા. પછી
રોજગારીના નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ ગાંધીનગર ગ્રામ વિકાસ કમિશનરને મળી હતી.
આ પણ વાંચોઃ Tapi Crime : ગાંગપુરમાં ઉકરડામાંથી યુવતીની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
ગુનો દાખલ કરવા આદેશઃ આ કેસને પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી હતી. રિપોર્ટના આધારે ગ્રામ વિકાસ કમિશનર દ્વારા આ મામલે ગુનો દાખલ કરવાની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2009 થી 2014 ના સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા 731 જોબકાર્ડ પૈકી 357 જોબકાર્ડ ડુબલીકેટ હતા. આ જોબ કાર્ડ ઉપર 12.94 લાખ ચૂકવવામાં આવ્યા હતા. સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં ગ્રામ પંચાયતના સરપંચો તલાટીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના સામે ગુનો નોંધવામાં આવ્યો છે.