મોરબી: મોરબીના શહેરી વિસ્તારમાં રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભય રહે છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે. જેથી માલધારી સમાજ અને અન્ય સમાજ જે પશુઓ રાખતા હોય તેમને નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેમના પશુઓને ઘરઆંગણે બાંધવા અને જાહેર રસ્તા પર રઝળતા મૂકવા નહીં. સાથે જ તમામ પશુધારકોએ પોતાની માલિકીના પશુઓનું માર્કિંગ કરાવવાનું રહેશે. જેના માટે નગરપાલિકા કચેરીએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
જો કોઈ પાલતુ પશુ રખડતા જોવા મળશે તો તેના માલિક સામે પ્રાથમિક તબક્કે રૂપિયા 1 હજાર, દ્વિતીય તબક્કે રૂપિયા 2 હજાર અને તૃતીય તબક્કે 3 હજારનો દંડ વસુલ કરવામાં આવશે. ઉપરાંત જો કોઈ પશુ માર્ગ અકસ્માતનું કારણ બનશે તો તેની જવાબદારી જે-તે પશુધારકની રહેશે તેમ નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે.