મહેસાણા ખાતેના પાંજરાપોળમાં કુલ 950 જેટલા પશુઓ રાખવામાં આવ્યા હતા. જોકે આજે બપોરે તમામ પશુઓને મકાઈનું લીલું ઘાસ ખવડાવ્યા બાદ સાંજે પાણી પીવડાવતા આકસ્મિક રીતે એક પછી એક પશુ જમીન પર ઢળવા લાગ્યા હતા, ત્યાં હાજર પશુપાલકોએ સંસ્થાના સંચાલકો અને પશુ ચિકિત્સકોને જાણ કરતા મહેસાણા જિલ્લા પશુ ચિકિત્સકોની જુદી જુદી ટિમો સહિત દૂધ સાગર ડેરીની પાંચ ટિમો ઘટના સ્થળે દોડી આવી ખોરાકી ઝેરથી અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપી હતી. જોકે પશુઓ ઝેરી ખોરાક ખાધા બાદ પાણી પી ગયા હોઇ જેેને લઇને પશુઓને શરીરમાં ઝેર ઝડપથી પ્રસરી જતા અંદાજે 80 જેટલા પશુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ સમગ્ર ઘટનાને પગલે પાંજરાપોળ સંચાલકોએ પોલીસને જાણ કરી ઘટના અંગે તપાસ માટે જાણવા જોગ ફરિયાદ આપતા પોલીસે સ્થળ પર તપાસ કરી સમગ્ર ઘટના અંગેની હકીકત સામે લઇ આવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે મૃત્યુ પામેલા પશુઓના પોસ્ટમોર્ટોમ કરાવ્યા બાદ તેમની આગળની પ્રક્રિયા હાથ ધરશે.