દમણઃ ચીનમાં હાહાકાર બાદ ઈટાલી અને અમેરિકામાં ત્રાટકેલી આ બરબાદીમાં ભારતમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના 259 આસપાસ કેસો નોંધાયા છે. જેમાં 5ના મોત થઈ ચૂક્યા છે, ત્યારે સરકારે કોરોના વાયરસ મહામારીને જોતાં માસ્ક અને સેનેટાઇઝરને જૂન સુધી અનિવાર્ય વસ્તુની શ્રેણી લાવવાની જાહેરાત કરી છે. તેવામાં લોકો સાવધાની વર્તવાને પગલે સેનેટાઈઝર અને માસ્કનો વધુને વધુ વપરાશ કરી રહ્યા છે. તેવામાં કેટલાક વેપારીઓ નફાખોરીના ધોરણોને અમલી બનાવીને માસ્ક અને સેનેટાઈઝરના ભાવમાં વધારો કરી રહ્યા છે.
દમણના વિવિધ મેડિકલ સ્ટોર્સ અને સુપર સ્ટોર્સમાં વેચાતા માસ્ક અને સૅનેટાઇઝરનોની કિંમત એકાએક બમણી થઇ ગઈ છે. ડેટોલ કે હિમાલય જેવી બ્રાન્ડના પેહેલેથી વપરાતા સૅનેટાઇઝરો અચાનક ગાયબ થઇ ગયા છે. જેના સ્થાને કોઈ બીજા જ નામના સૅનેટાઇઝરો વેચાઈ રહ્યા છે. કોરોના વાઈરસના તરખાટના કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી દમણનાં મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. મનફાવે તેમ ભાવ વસૂલવામાં આવી રહ્યાં છે.
હાલ એન-95 માસ્કની અત્યારે સૌથી વધુ ડિમાન્ડમાં છે, ત્યારે સામાન્ય ત્રણ લેયર માસ્ક પણ રૂપિયા 40 સુધી વેચાઈ રહ્યા છે. હોલસેલ કિંમતમાં માત્ર 3 રૂપિયામાં જ મળતા માસ્કના ભાવ કોરોનાના ફૂફાડાથી અનેક ગણા વધી ગયા છે અને કોરોનાના ભયથી ગ્રાહકો બેફામ લૂંટાઈ રહ્યા છે. એટલું જ નહીં એન-95નાં નામે બીજા પણ કેટલાક માસ્ક ગ્રાહકોને અપાઈ રહ્યા છે. બીજી તરફ ભાવ વધતા કેટલાક મેડિકલમાં તો માસ્કનો ધંધો જ બંધ કરી દેવાયો છે. જો કે સમગ્ર બાબતે દમણ પ્રશાસન તદ્દન અજાણ હોય તેવો ઢોંગ કરી રહ્યું છે.
દમણના કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ માસ્ક અને સૅનેટાઇઝરોના ઉપરથી જ ભાવ વધીને આવી રહ્યા છે. જેમાં વેપારીઓ પોતાનો નફો ઉમેરી રહ્યા છે. આમ માસ્ક અને સૅનેટાઇઝરોની કિંમતમાં તોતિંગ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દમણ પ્રશાસન વધુ ભાવ ખંખેરતા વેપારીઓ સામે પગલાં લે અને ભાવોનું સંતુલન જાળવી રાખે તેવી માંગ હાલ લોકોમાં ઉઠી રહી છે.