અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ અમદાવાદ જિલ્લામાં ચૂંટણી સંબંધિત કામગીરીની વિગતો આપતાં જણાવ્યું કે, આચારસંહિતાના ભંગ બદલ આઠ ફરિયાદો થઈ હતી, જેનો નિકાલ કરવામાં આવ્યો છે તથા સિ-વિજીલ એપ્લીકેશન મારફત 67 ફરિયાદો મળી છે, જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લોકસભાની આ ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં ફુલ 16000 દિવ્યાંગો માટે જે તે વિસ્તારમાં 913 વ્હીલચેર અને 2500 સ્વયંસેવક ની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 719 શતાયુ મતદાતાઓ છે. જેમને સાથે રાખી આગામી દિવસોમાં શતાયુ મતદાતા ઉજવણી કરવામાં આવશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, નિષ્પક્ષ ચૂંટણી થાય તે માટે તંત્ર સતત કાર્યરત છે. અત્યાર સુધીમાં 11,000 વાહનો ચેક કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 1 કરોડ 55 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. 15,361 બોટલ સાથે શહેરી વિસ્તારમાં કુલ 45 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તથા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 73 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરભરમાંથી કુલ 17,000 બેનર, જાહેરાતો સરકારી મકાનો પરથી તથા 13,000 બેનર- જાહેરાતો ખાનગી માલિકીના મકાન પરથી હટાવવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, EVM પ્રશિક્ષણ માટે શહેરમાં 1380 જગ્યાએ EVM નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ચાર લાખ 17 હજાર લોકોએ લાભ લીધો તથા ત્રણ લાખ લોકોએ મોક વોટિંગ કર્યું. ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી બાબતે તેમણે જણાવ્યું કે, ઓક્ટોબર 2015 પછી 3,35,707 ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. જે તમામનો નિકાલ કરવામાં આવ્યો છે અને સુધારા સાથેના અથવા નવા ચુંટણીકાર્ડ મતદારોને આપવાની પ્રક્રિયા ચાલુ છે. હવે નવા ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા નથી.
નિષ્પક્ષ ચુંટણી માટે તંત્ર સતત કાર્યરત
- EVM પ્રશિક્ષણ દરમ્યાન ત્રણ લાખ શહેરીજનોએ કર્યું મોક વોટીંગ.
- શતાયુ મતદાતાઓને સાથે રાખી મતદાન ઉજવણી કાર્યક્રમ આગામી દિવસોમા યોજાશે
- શહેરના 16 હજાર દિવ્યાંગ મતદાતાઓ માટે ખાસ વ્યવસ્થા