- બાઈડન પ્રશાસન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું: ભારતીય રાજદૂત
- ભારત અને અમેરિકાના સંબંધો સહિયારા મૂલ્યો પર બનેલા છે
- પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પણ ઓનલાઇન યોજાયું
વોશિંગ્ટન: અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ ગઈકાલે મંગળવારે કહ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો સહિયારા મૂલ્યો પર બનેલા છે અને તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના પ્રશાસન સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે.
ભારતીય-અમેરિકન સમુદાય અમેરિકા સાથેના સંબંધોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ
સંધુએ પ્રજાસત્તાક દિવસ પર પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આ બધામાં ભારતીય-અમેરિકન સમુદાય અમેરિકા સાથેના આપણા સંબંધોનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમને વિશ્વાસ છે કે સમુદાય બંને દેશોને નજીક લાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. તેઓ પ્રમુખ જોસેફ બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના નેતૃત્વમાં નવા વહીવટ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. આપણી ભાગીદારીથી આપણા બે દેશોને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થઈ શકે છે.
ભારતની રસી અન્ય દેશો માટે પણ ઉપલબ્ધ હોવી જોઈએ
કોરોના વાઈરસ સામેની લડત અંગે સંધુએ કહ્યું કે, અમેરિકા અને ભારત બંનેએ રસી વિકસાવી છે. તેમજ હવે મોટા પાયે રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. ભારતમાં આપણે વિશ્વનું સૌથી મોટુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છીએ. ભારત સરકારે પણ ખાસ કાળજી લીધી છે કે ભારતમાં બનાવવામાં આવતી રસી અન્ય દેશો, આપણા પાડોશીઓ, મિત્રો અને ભાગીદારો માટે પણ ઉપલબ્ધ હોવી જોઈએ.
72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોવિડ -19ને કારણે ઓનલાઇન થઈ
આ વર્ષે દેશના 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કોવિડ -19ને કારણે ઓનલાઇન રાખવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન પણ ઓનલાઇન યોજવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિચમેન્ડની 'ગંધર્વ સ્કૂલ ઓફ મ્યુઝિક'ના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા.