અમદાવાદઃ જિલ્લા સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યમાં 30 હજારથી વધુ કેસ નોંધાયા અને 1800 કરતા વધુ લોકોના મૃત્યું થયા છે, આ વચ્ચે GTUએ પરીક્ષાની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યું છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મહામારીને કારણે અનેક લોકોના જીવન પર મોટી અસર પડી છે. છેલ્લા ત્રણ મહિનાથી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય પણ બંધ છે. આ વચ્ચે GTU 2 જુલાઈથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની છે. હવે આ મુદ્દે વિરોધ શરૂ થયો છે. NSUIના વિરોધ પ્રદર્શન બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ આ મુદ્દે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મુખ્યપ્રધાનને GTUની પરીક્ષા અંગે પત્ર લખ્યો છે. તેમણે વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન આપવાની માગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યના 30 હજાર થી વધુ કેસ નોંધાયા અને 1800 કરતા વધુ લોકોના મૃત્યું થયા છે, આ વચ્ચે GTUએ પરીક્ષાની તારીખ જાહેર કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે GTUના વિદ્યાર્થીઓ સરકાર પાસે ન્યાયની માગ કરી રહ્યાં છે.
તેમણે વધુમાં કહ્યું આ મુદ્દાને લઈને શિક્ષણપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે મુલાકાત માટે સમય માંગ્યો છે. સરકાર GTU પર તાત્કાલિક કાર્યવાહી કરે અને તેના સંચાલકો સાથે બેઠક યોજે તે જરૂરી છે. આ લાખો વિદ્યાર્થીઓના જીવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. GTUએ આપેલા વિકલ્પમાં ઘણી સમસ્યા છે. તો મહામારી બાદ પરીક્ષા અંગે તેમણે કહ્યું કે આ કોરોના ક્યારે સમાપ્ત થશે તે નક્કી નથી.