ડાંગરના પાકમાં રોગ-જીવાત નિવારણ માટે સુરત જિલ્લા ખેતીવાડી કચેરીએ બહાર પાડી માર્ગદર્શિકા - Surat District Agriculture Office

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 10:43 PM IST

thumbnail
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ  જિલ્લાના ખેડૂતોને ડાંગરના પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં ડાંગરના પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા સુરત જિલ્લાના ખેડૂતોને માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સંકલિત જીવાત વ્યવસ્થાપનમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે મહદાંશે પ્રતિકારક શક્તિ ધરાવતી નર્મદા, જીએઆર-3, 13 અને 14, જીઆર-21 અને 101, ગુર્જરી, મહીસાગર જેવી જાતોનું વાવેતર કરવું. ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી, ડાંગરની ચૂસીયાં (બદામી ચૂસીયા અને સફેદ પીઠવાળા ચુસીયા) પ્રતિકારક જાતોનું વાવેતર કરવું, શક્ય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં ફેરરોપણી કરવાથી ડાંગરના પાકમાં ગાભમારાની ઇયળ બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચુસીયાનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. રોગમુક્ત, તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું. નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ભલામણ કરતા વધારે વપરાશ કરવો નહીં, ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા, ડાંગરમાં કરમોડી/ ખડખડિયો(બ્લાસ્ટ)ના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે જીએઆર 1-2-3-13-14, મહીસાગર, જીઆર-6-7-12-21-101-102-104નું વાવેતર કરવું. આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતે પોતાના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.