સુરતના કતારગામમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ, પોલીસે આરોપીની કરી ધરપકડ - kidnap five year old child in Surat

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 7:38 PM IST

thumbnail
સુરતના કતારગામમાં પાંચ વર્ષના બાળકનું અપહરણ (ETV Bharat Gujarat)

સુરત: ગત 7 જુલાઈના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી નજીક એસએમસીના ફૂટપાથ પર ભિક્ષુક સાથે રહેતી વિધવા મહિલા પોતાના બંને બાળકો જોડે રથયાત્રા જોવા માટે ગઈ હતી. રથયાત્રામાંથી પરત ફર્યા બાદ પાંચ વર્ષનો બાળક રમવા માટે જતો રહ્યો હતો. જે પરત ન ફરતા માતાએ ભારે શોધખોળ આદરી હતી. પરંતુ બાળકની કોઈ ભાળ ન મળતા માતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: કતારગામ પોલીસ મથકે માતાની આપવીતી સાંભળી પોલીસે સૌ પ્રથમ અપહરણનો ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે બાળકની શોધખોળ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. કતારગામ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. પરંતુ પોલીસને બાળકની કોઈપણ ભાળ મળી ન હતી. જોકે એક સીસીટીવી કેમેરામાં બાળક નજીકમાં આવેલી ભંગારની દુકાનમાં જતો નજરે પડ્યો હતો. જેથી ભંગાર લે- વેચ કરતા દિપક બાબુરાવ ઇંગળ પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને દીપક વચ્ચે મિત્રતાના સંબંધો હતા. દિપક અવારનવાર બાળકને પોતાનો મોબાઈલ ગેમ રમવા માટે આપતો હતો. બાળકના અપહરણ બાદ દિપક પણ ગાયબ હોવાના કારણે પોલીસની શંકા પણ પ્રબળ બની હતી. જેથી સ્ટેટ કંટ્રોલરૂમમાં બાળકના અપહરણ અંગેના મેસેજ પાસ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સુરતની કતારગામ પોલીસ અને અમદાવાદ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ડીસીપી ઝોન-2 ની ટીમ દ્વારા સંકલન સાંધી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

વધુમાં જણાવ્યું કે, દરમિયાન અમદાવાદ રેલવે પોલીસ દ્વારા માધુપુરા ખાતેથી આરોપી દીપક બાબુરાવ ઇંગળની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીના કબજામાંથી પોલીસે બાળકને મુક્ત કરાવી માતા જોડે ભેટો કરાવ્યો હતો. જે બાદ આરોપીનો કબ્જો અમદાવાદ પોલીસ દ્વારા સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યાં સુરતની કતારગામ પોલીસ દ્વારા આરોપીનો કબ્જો મેળવી ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પુછપરછ આરોપી લલિતા ચોકડી નજીક ભંગારની નાની દુકાન ચલાવે છે. જે બાળકનું અપહરણ કર્યું તે બાળક અને તેના વચ્ચે મિત્રતા ભર્યો સુમેળ ચાલી આવ્યો હતો.

આરોપી ગેમ રમવા માટે બાળકને મોબાઈલ પણ આપતો હતો. આરોપી બાળકને ખૂબ જ પસંદ કરતો હતો. આરોપીના લગ્ન પણ થોડા સમય પહેલા થયા હતા અને તેને સંતાનમાં બાળક પણ નહોતું. જેથી બાળકની ખોટ પુરી કરવા અપહરણ કર્યાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ કરી હતી. મહત્વનું છેકે, આરોપીનો કોઈ બદ ઈરાદો ન હતો. સંતાનની ખોટ પુરી કરવા તેણે આ અપહરણ કર્યું હતું. જે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.