વલસાડ: ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા દેશભરમાં વિકસાવવામાં આવનાર ફ્રેટ રેલવે કોરિડોર માટે પ્રાથમિક સર્વે માટેની તજવીજ ચાલી રહી છે. આ રેલવે માર્ગ માટે પારડી તાલુકાના કેટલાક ગામોમાંથી માર્ગ પસાર થવાની સંભાવનાઓ છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગોય, રાબડી, નિમખલ, પરવાસા અને મોટા વાઘ છીપા જેવા ગામોમાંથી પસાર થનારા કોરિડોરના પ્રાથમિક સર્વે માટે સરપંચો સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં પારડીના મામલતદારની અધ્યક્ષતા હેઠળ રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા સરપંચોનો સહકાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
સર્વે માટે ગામના સરપંચનો સહયોગ માંગ્યો: બેઠકમાં રેલવેના અધિકારીઓ દ્વારા પ્રાથમિક એલાઈમેંટ સર્વે કરવાની વાત રજૂ કરવામાં આવી હતી. જેમાં સરપંચો અને સ્થાનિક આગેવાનોને આ કોરિડોરના માર્ગ ઉપર આગમચેતી અસર અંગે સમજાવવાનું હતું. રેલવે તંત્ર દ્વારા ગામના સરપંચોને સર્વે માટેનો સહયોગ આપવા માટે વિનંતી કરાઈ હતી, જેથી આગળ વધીને જરૂરી કામગીરી સરળતાથી પાર પાડવામાં આવી શકે.
અધિકારીઓએ સંતોષ કારક જવાબ ન આપ્યો: જોકે, સરપંચો અને ગ્રામજનો દ્વારા આ સર્વે માટે કડક વાંધા ઉઠાવવામાં આવ્યા છે. DFCCILના અધિકારીઓને આ કોરિડોર અંગેની પ્રાથમિક માહિતી આપવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને જે જમીનોમાંથી આ કોરિડોર પસાર થશે તે સર્વે નંબર અને વિસ્તારના સ્પષ્ટ જાણકારીની માંગણી કરવામાં આવી હતી. આ માહિતીના અભાવના પરિણામે સરપંચોએ DFCCILના અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા અને પુરતા આધારો વગરની માહિતી પર આધાર રાખીને તેઓએ ગામમાં કોઇપણ પ્રકારની કામગીરી શરૂ કરવાની મંજૂરી ન આપવાનું નક્કી કર્યું છે.
![DFCCIL ફ્રેટ રેલવે કોરિડોર માટે પારડી તાલુકાના સરપંચોની બેઠકમાં પ્રાથમિક સર્વેનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2024/gj-vld-01-railweyfretcoridoremeetingwithsarpanchof5village-avbb-gj10047_14112024100519_1411f_1731558919_1104.png)
ગામના વિવિધ સર્વે નંબર અંગે પૂરતી માહિતી ઉપલબ્ધ ન હતી: આ બેઠકમાં ઉપસ્થિત સરપંચોએ જણાવ્યું હતું કે, રેલવેના અધિકારીઓ પાસે હાલ જમીન અને સર્વે નંબરની સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ નથી, જેને લીધે ગામમાં ગેરસમજ ઊભી થઇ રહી છે. સરપંચોએ જણાવ્યું કે, રેલવે તંત્રની ટીમે ગામના લોકોના સવાલોનો સામનો કરી, કયા કયા જમીનના સર્વે નંબરોમાં આ માર્ગ પસાર કરાશે તેની સમજૂતી આપવી જોઈએ, જેથી લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર થાય.
![DFCCIL ફ્રેટ રેલવે કોરિડોર માટે પારડી તાલુકાના સરપંચોની બેઠકમાં પ્રાથમિક સર્વેનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2024/gj-vld-01-railweyfretcoridoremeetingwithsarpanchof5village-avbb-gj10047_14112024100519_1411f_1731558919_117.png)
'લોકોને સમજાવવા પેહલા પૂરતી વિગત આપો' - જિલ્લા પંચાયત સભ્ય: આ બેઠકમાં ખાસ હાજરી આપનાર જિલ્લા પંચાયતના સભ્ય શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે, "રેલવે અધિકારીઓ પાસે જરૂરી માહિતી નથી, જેથી સરપંચોએ પ્રાથમિક સર્વે કરવા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી આપી નથી. અમે તો માત્ર એટલું માંગીએ છીએ કે પહેલા તમામ વિગતવાર માહિતી આપી ગામના લોકોને સમજાવવામાં આવે." તેમણે અધિકારીઓને 5 ગામના લોકોને એક સાથે ભેગા કરી પૂરતી વિગતો અને સર્વે નંબરો આપવા અને રેલવે કોરીડોરના ફાયદા સમજાવવા ગામમાં આવીને બેઠક કરવા જણાવ્યું છે.
![DFCCIL ફ્રેટ રેલવે કોરિડોર માટે પારડી તાલુકાના સરપંચોની બેઠકમાં પ્રાથમિક સર્વેનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-11-2024/gj-vld-01-railweyfretcoridoremeetingwithsarpanchof5village-avbb-gj10047_14112024100519_1411f_1731558919_215.png)
અપૂરતી માહિતી સાથે જમીન સર્વે માટે તજવીજ: કોરિડોર માટેની મંજુરીના મુદ્દે ગ્રામજનોમાં ભારે બેચેની જોવા મળી રહી છે. તેમના મતે, જમીનના અધિકાર અને ખેતીવાડી જમીનોમાં હસ્તક્ષેપની વાતને જોતા રેલવે તંત્ર દ્વારા હજુ પણ આ પ્રોજેક્ટની માહિતી પુરતી રીતે આપવામાં આવી નથી. આ ઉપરાંત, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના માધ્યમથી આ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં વિકાસની શક્યતાઓની સાથે સાથે જમીન સંપાદન કરવાની પ્રક્રિયાની ચિંતાઓ ખેડૂતોમાં વધી છે.
રેલવે કર્મચારીને ગામમાં બોલાવી લોકોને સમજાવવા માટે અનુરોધ: તમને જણાવી દઈએ કે, આ બેઠકનો અંત નિષ્કર્ષ વિના આવ્યો, કારણ કે DFCCILના અધિકારીઓ દ્વારા કોઈ ચોક્કસ ખાતરી આપવામાં આવી ન હતી કે તેઓ કયા જમીન સર્વે નંબરોમાંથી રસ્તો કાઢવા ઈચ્છે છે અને આ માર્ગ કેવી રીતે સ્થાનિક સંસ્થાઓ અને ગામલોકોના સુખાકારી માટે ઉપયોગી બની શકે. સરપંચો દ્વારા આ સર્વે માટે મંજૂરી આપવાના મુદ્દે ટકરાવ યથાવત રહ્યો છે અને આકરા વલણ સાથે બેઠકનો અંત આવ્યો છે.
પ્રથમ વિગત વાર માહિતી આપવામાં આવે: આ બેઠકમાં હાજર તમામ સરપંચોએ એક સૂરમાં DFCCILને વિના વિધિવત માહિતીના આધાર પર સર્વે માટે મંજુરી ન આપવાની જાહેરાત કરી છે. રેલવે તંત્રના અધિકારીઓ દ્વારા કોઇ પૂર્ણ સમજાવટ ન આપતાં આગામી સર્વેની કામગીરી અંગે ગામલોકોનો વિરોધ યથાવત રહેશે તેવી સ્પષ્ટતા ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.
આમ, DFCCILનો આ પ્રાથમિક સર્વે યોજવાનો પ્રયાસ, વિના સ્પષ્ટ માહિતી અને માર્ગદર્શનના કારણે સફળ ન રહ્યો અને આગામી સમયમાં ગામલોકો અને સરપંચો DFCCIL દ્વારા વધુ સ્પષ્ટતા અને માહિતીની માગણી સાથે ઉભા રહેશે.
આ પણ વાંચો: