સુરતઃ ચારેય કોર જંગલોથી ઘેરાયેલા સુરત જિલ્લાના છેવાડે આવેલ ઉમરપાડા તાલુકો છે, જેને સુરત જિલ્લાનું મિની ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉમરપાડા તાલુકામાં સુરત જિલ્લાનો સૌથી વધુ વરસાદ ખાબકે છે પરંતુ આ વિસ્તાર ઊંધી રકાબી જેવો હોવાથી અહીંયા વરસાદી પાણી જમીનમાં પુરતું ઉતરતું નથી. તમામ વરસાદી પાણી નદીઓ, ખાડીઓમાંથી સીધું દરિયામાં વહી જાય છે. વધુ વરસાદ વરસતો હોવા છતાં અહીંયાના સ્થાનિકોને ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગી પડતી હોય છે. એવામાં ઉમરપાડા પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ કે.ડી ભરવાડને વિચાર આવ્યો કે ઉનાળામાં પીવાના પાણીની તંગી પોલીસ પરિવારને ન પડે તે માટે વરસાદના પાણીને કેમ કરીને ધાબામાંથી ભેગુ કરીને લેવામાં આવે તો પાણીની તંગી માંથી છુટકારો મળે. બસ આ વિચાર સાથે ત્રણ વર્ષ અગાઉ તેમણે પોલીસ મથકમાં મોટો અંદર ગ્રાઉન્ડ ટાંકો બનાવી દીધો. પોલીસ મથકની છત પર પાઇપ ગોઠવી આ ટાંકામાં વરસાદની પાણી ભેગુ કરવાનું શરુ કર્યું. આ રીતે ઉમરપાડા તાલુકામાં પાણીની સમસ્યાના નિવારણની શરૂઆત કરી.
![વરસાદી પાણી સંગ્રહતો વરસાદી ટાંકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-08-2024/22185423_a.jpg)
પોલીસ પરિવાર આ રીતે વાપરે છે પાણીઃ સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં વરસે છે પરંતુ આ તાલુકો ઊંધી રકાબી જેવો હોવાથી અહીંયા પાણી નથી ટકતું, જેને લઇને વરસાદી પાણીનો ઉનાળામાં ઉપયોગ કરી શકાય તે માટે ઉમરપાડા પોલીસ મથક ખાતે 40,000 લીટરનો ભૂગર્ભ ટાંકો બનાવવામાં આવ્યો છે. જેનો ઉપયોગ ઉનાળામાં પોલીસ પરિવાર કરે છે. જ્યારે પણ ઉનાળામાં પાણીની અછત સર્જાય ત્યારે ભૂગર્ભ 40,000 લીટરના ટાંકામાં સંગ્રહ કરવામાં આવેલા પાણીને ફિલ્ટર કરી હાલ પોલીસ પરિવાર વાપરી રહ્યો છે.
તેમજ વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટેની પણ વ્યવસ્થાઓ ઊભી કરાઇ છે. ત્યારે ઉમરપાડા પોલીસ કંઈ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે એ જોવા હાલ ઉમરપાડા તાલુકાના ગામડાઓનો સરપંચો અને આગેવાનો આવી રહ્યા છે. તેઓના ગામોને પણ ઉનાળામાં પીવાના પાણીની તંગીમાંથી છુટકારો મળે તે માટે આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવાનું વિચારી રહ્યા છે.