ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી વરિયાવ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય લાઈનમાં લીકેજ થતાં પાણીનો વેડફાટ - Water wastage - WATER WASTAGE
Published : Jun 5, 2024, 9:23 PM IST
સુરતઃ એક બાજુ લોકો કાળઝાળ તાપમાં પાણી માટે વલખાં મારી રહ્યા છે, તો બીજી બાજુ ઓલપાડ ટાઉનના માળી ફળિયામાંથી પસાર થતી વરિયાવ જૂથ પાણી પુરવઠા યોજનાની મુખ્ય લાઈનમાં લીકેજ થતાં છેલ્લા ઘણા દિવસોથી ભરઉનાળે હજારો લિટર મીઠું પાણી વેડફાઈ રહ્યું હોવાનો વીડિયો બનાવી એક સ્થાનિક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ લીકેજ લાઈનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા માળી ફળિયાના સ્થાનિક રહીશોની રાવ મુજબ આ ભંગાર લાઈન એક જ જગ્યાએ વારંવાર લીકેજ થઈ રહ્યું હોવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ લીકેજ લાઈનમાં પ્રેશરથી પાણીના ફુવારા ઉડતા હોવાથી અમે પોતે પાણીનો નિકાલ ન કરીએ તો આ પાણી નજીકના નીચાણવાળા ઘરોમાં ભરાઈ જાય અને ઘરવખરી ચીજવસ્તુઓને પણ નુકસાન થવાની ભીતિ છે. છેલ્લા ઘણા દિવસોથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું હોવા છતાં આ લીકેજ પાઈપ લાઈન રિપેર કરવાની ફુરસદ આ તંત્રને મળી નથી. જેના કારણે આ લાઈનમાંથી અગાઉનાં ગામોમાં પૂરતા પ્રેશરથી મળતું નથી. તેઓની માંગણી અનુસાર લીકેજ થતી આ ભંગાર લાઈન ઓલપાડ- સુરત મુખ્ય રોડની બાજુમાં ખસેડવામાં આવે તો જ લોકોની સમસ્યા કાયમી હલ થઈ શકે તેમ છે. ઓલપાડ ગ્રામ પંચાયતના સરપંચ આનંદ કહારે જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં થયેલ લીકેજ ની માહિતી મળતાં જ મારી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.બસ થોડીક ક્ષણોમાં જ રીપેરીંગ કામ પૂર્ણ થશે અને રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.