Published : Jul 1, 2024, 10:44 PM IST
જૂનાગઢ જળબંબાકાર : દામોદર કુંડ છલોછલ થતા અલૌકિક દ્રશ્ય માણવા પ્રવાસીઓ ઉમટ્યા - Gujarat Weather Update
જૂનાગઢ : પાછલા 24 કલાકથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે. કુદરતના ખોળે વસેલા જૂનાગઢમાં વરસતા વરસાદને માણવા માટે સમગ્ર રાજ્યમાંથી પ્રવાસીઓ આવી રહ્યા છે. વરસાદ વરસતા જ ગિરનાર પર્વત અને આસપાસનું વાતાવરણ કુદરતી નજારાથી તરબતર થતું હોય છે, જેને માણવું એક લ્હાવો છે. ગિરનાર પર્વત પર સવિશેષ પ્રમાણમાં વરસાદ વરસ્યા બાદ પાણી જૂનાગઢ શહેરના મધ્યમાંથી નદીના રૂપમાં વહે છે. જેને જોવા માટે લોકો આખું વર્ષ રાહ જુએ છે. ગિરનાર પર્વત પરથી પ્રવાહિત થઈને વરસાદી પાણી જૂનાગઢની સુવર્ણ રેખા નદીમાં થઈને દામોદર કુંડમાં આવે છે. જેના કારણે દામોદર કુંડ પાણીથી છલોછલ થઈને વહેતો થાય છે. જેને જ્યારે જોવા માટે જૂનાગઢ સહિત અન્ય શહેરોમાંથી પણ લોકો ખાસ ચોમાસા દરમિયાન અહીં આવે છે.