Ram Mandir : ભુજનાં હૃદયસમા હમીરસર તળાવમાં રામલલાએ કર્યો નૌકાવિહાર
Published : Jan 23, 2024, 12:29 PM IST
કચ્છ : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રી રામ વિરાજમાન થયા છે. ત્યારે ભુજના હમીરસર તળાવમાં રામલલાએ નૌકાવિહાર કર્યો હતો. ભુજના પ્રખ્યાત પતંગબાજ જયેશભાઈ સીસોદીયાએ છ મહિનાની મહેનત બાદ પચાસ હજારના ખર્ચે રામ ભગવાન માટે વિશેષ જહાજ 'કચ્છ કેસરી MNV 1969' તૈયાર કર્યું છે.
પ્રભુ રામનો નૌકાવિહાર : ભુજના હમીરસર તળાવમાં 4 ફૂટ લાંબી અને 1.5 ફૂટ પહોળી આ વિશેષ નૌકામાં વિરાજમાન થઈ પ્રભુ રામે ભુજની જનતાને દર્શન આપ્યા હતા. જયેશભાઈ સીસોદીયાએ વિરાટ સોલંકી અને ધૈર્યજીત પરમાર સાથે મળી તૈયાર કરેલી આ નૌકા અદ્ભુત છે. મહત્તમ 3 કિલોમીટરની રેન્જ ધરાવતી આ નૌકા ઓટોમેટિક છે, જેને રિમોટ દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. હમીરસર તળાવમાં નૌકાવિહાર કરતા પ્રભુ રામને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. 500 વર્ષની તપસ્યા બાદ આવેલા અવસરની ઉજવણીના ભાગરૂપે આ બોટ બનાવી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મનાવાયો હતો. આજે ભુજના રામધૂન મંદિરમાં આરતી પૂર્ણ થયા બાદ ભગવાન રામના નૌકાવિહારે આકર્ષણ જમાવ્યું હતું.