વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ ખાતે આગામી 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. હાલ 800 વીઘા જમીન પર 2500 જેટલા સ્વંયસેવકો દ્વારા તેની તડામાર તૈયારી ચાલી રહી છે. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભવો સહિત સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ દેશ વિદેશના લાખો હરિભક્તો ઉપસ્થિત રહેનાર છે. જેને લઈ વડતાલ સંસ્થા દ્વારા હાલ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
7 નવેમ્બરે પોથીયાત્રા કળશયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થશે: વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 'તારીખ 7 નવેમ્બર ગુરૂવારના રોજ સવારે 8: 00 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા (કળશયાત્રા) સવારે 10:30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં 200 ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.
- તારીખ 8 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
- તારીખ 9 નવેમ્બરના રોજ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12:00 થી 3:00 દરમિયાન મહિલા મંચ યોજાશે. સાંજે 5: 00 કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
- તારીખ 10 નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે મંદિર પરિસર ખાતે થશે.
- તારીખ 11 નવેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખવામાં આવેલું છે.
- તારીખ 12 નવેમ્બરના રોજ સવારે 7:00 થી 10:00 વાગ્યા દરમિયાન અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા, જ્યારે સવારે 9:00 થી 12:00 દરમિયાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે. તેમજ બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4:00 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યાતિભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે. સાથે સાથે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
- તારીખ 13 નવેમ્બરના રોજ સવારે 6:00 કલાકે લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10:00 કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
- તારીખ 14 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
- તારીખ 15 નવેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. સાંજે 6:00 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.