મોરબી: બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર બંધુનગર ગામ નજીક ડમ્પર અને અર્ટીગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે કારનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર તુષાર બાલુભાઈ માલવયા (ઉ.વ.20) (રહે. ઉમા ટાઉનશીપ) અને વરુણ વાસકલે (ઉ.વ.28) (રહે. જાંબુઆ) વાળાના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મહિલા અને બાળકીને સારવાર માટે ખસેડાયા:આ અકસ્માતમાં કારમાં સવાર મહિલા અને બાળકી સહિતના ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મહેશ સિંગાર (ઉ.વ.24)નું મોત થયું હતું. જેથી અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિની સંખ્યા 3 પર પહોંચી ગઈ છે. અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર તેમજ કાર ચાલકના મોત થયા હતા. મહેશભાઈ અને વરુણભાઈ બંને ટ્રકમાં સવાર હતા. તેમજ તુષારભાઈ કારમાં સવાર હતા. જે ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે. જયારે મહિલા અને બાળકીને સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતના બનાવને પગલે પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.