ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 1:58 PM IST

ETV Bharat / state

નાયકવાડનું રિયાલીટી ચેક : અનંત પટેલના આક્ષેપોનું ખંડન કરી વાપી નગરપાલિકા ઉપપ્રમુખે વિકાસના કામો ગણાવ્યા - Lok Sabha Election 2024

વાપીમાં લોકસભા ચૂંટણી પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે, વાપી નાયકવાડમાં પાણી, આંગણવાડી અને રસ્તાની સમસ્યા છે. જે અંગે વાપી નગરપાલિકાએ વિકાસના કામો ગણાવી અનંત પટેલ પાસે વિકાસના કોઈ મુદ્દા ન હોવાથી આદિવાસી સમાજને ખોટી રીતે ભરમાવ્યા હોવાના પ્રતિ આક્ષેપ કરી અનંત પટેલના આક્ષેપોનું ખંડન કર્યું છે.

નાયકવાડનું રિયાલીટી ચેક
નાયકવાડનું રિયાલીટી ચેક

વાપી નગરપાલિકા ઉપપ્રમુખે અનંત પટેલના આક્ષેપોનું ખંડન કર્યું

દમણ :વાપીના નાયકવાડમાં TP-1 સ્કીમ હેઠળ પાસ થયેલ રોડને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ આ મામલે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં પીવાના પાણીની લાઈન નથી, ગટરની સુવિધા નથી, ચોમાસામાં પાણી ભરાય છે, આંગણવાડીની સુવિધા નથી. આ અંગે ETV Bharat દ્વારા રીયાલીટી ચેક કરી સ્થાનિક લોકો તેમજ વાપી નગરપાલિકાના સત્તાપક્ષ પાસેથી વિગતો મેળવી છે, વાંચો સમગ્ર અહેવાલ

ETV Bharat દ્વારા રીયાલીટી ચેક :વાપીના વોર્ડ નંબર 8 માં આવેલ નાયકાવાડ વિસ્તાર લોકસભા ચૂંટણી સમયે ચર્ચામાં આવ્યો છે. આ વિસ્તારમાં પાણી, આંગણવાડી, શિક્ષણ જેવી પાયાની સુવિધા નથી તેવો આક્ષેપ કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર અનંત પટેલે કર્યો છે. જે અંગે ETV Bharat દ્વારા રીયાલીટી ચેક કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગટર લાઈનની સમસ્યા છે, પાણી સમયસર આવતું નથી, બોરની સુવિધા નથી, ઘરે ઘરે નળ નથી, લોકોએ કોમન સ્ટેન્ડ પોસ્ટ પરથી પાણી ભરવું પડે છે.

પાયાની સુવિધાનો અભાવ :સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાંથી TP-1 સ્કીમ હેઠળ રસ્તા પાસ થયા છે., જેનો અમે વિરોધ કરીએ છીએ. જો રસ્તા બનશે તો નાના નાના પ્લોટમાં ઘર બનાવી રહેતા ગરીબ લોકો ઘર વિહોણા બનશે. જે અંગે નગરપાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું છે. ચૂંટણી વખતે પ્રચારમાં આવેલા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સમક્ષ રજૂઆત પણ કરી છે. અમારે અહીં રસ્તાની નહીં પરંતુ ઘરે ઘરે નળ, ગટરલાઈન અને આંગણવાડીની જરૂર છે. બાળકો ઝાડ નીચે બેસીને અભ્યાસ કરે છે.

પાણી છે પણ રસ્તા પર :આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે, નાનપણથી અહીં જ રહેતા આવ્યા છીએ. પીવાનું પાણી મળે છે. પરંતુ વરસાદની સીઝનમાં પાણીનો ભરાવો થાય છે. આંગણવાડી નથી, ગટરની લાઇન નથી, સારા રસ્તા પણ નથી.

નાયકવાડનું રિયાલીટી ચેક

નગરસેવકનો સીધો જવાબ :આ વિસ્તાર જે નગરસેવકના વોર્ડમાં આવે છે તેઓ જ હાલ નગરપાલિકામાં ઉપપ્રમુખ છે. આ સમગ્ર મામલે અભય શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમુક પોલિટિકલ લોકોએ આ ઇસ્યુને ચગાવ્યો છે. હકીકતમાં અમે જરૂરી તમામ સુવિધાઓ આપી રહ્યા છીએ અને TP અંતર્ગત જે રોડ બનવાનો છે તેમાં કોઈની પણ જમીન કે ઘર જવાના નથી.

જનતાનો તંત્ર પર આક્ષેપ :જોકે, સ્થાનિક લોકોનું માનવું છે કે, આ વિસ્તારની બન્ને તરફ મોટા પહોળા રોડ છે. અમારે રોડની જરૂર નથી પરંતુ બિલ્ડરોને ફાયદો કરાવવા આ રસ્તાના પ્લાન બનાવ્યા છે. જે અંગે જરૂર પડશે તો અમે આંદોલન પણ કરીશું.

અનંત પટેલ પર તંત્રનો આરોપ :અનંત પટેલે કરેલા આક્ષેપોનું નગરપાલિકા ઉપપ્રમુખ અભય શાહે ખંડન કરતા જણાવ્યું કે, આ વિસ્તારમાં સૌથી વધુ વિકાસના કામ થયા છે. બે કે ત્રણ ઘર વચ્ચે એક પાણીની લાઈન આપી નિઃશુલ્ક પાણી આપવામાં આવે છે. પેવર બ્લોકના રસ્તા બનાવ્યા છે. આવાસ યોજના હેઠળ આવાસ બનાવ્યા છે. વાપી નગરપાલિકાનો વિસ્તાર રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈનો વિધાનસભા વિસ્તાર હોવાથી અહીં સૌથી વધુ વિકાસની ગ્રાન્ટ હેઠળ કામ થયા છે. અનંત પટેલ પાસે વિકાસના કોઈ મુદ્દા ન હોવાથી આપ પાર્ટીના કાર્યકરો સાથે મળી આદિવાસી સમાજને ખોટી રીતે ભરમાવી રહ્યા છે.

સત્તાધીશોએ તમામ આક્ષેપ ફગાવ્યા :ઉલ્લેખનીય છે કે, હાલ લોકસભા ચૂંટણીને લઈ વલસાડ-ડાંગ લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કરેલા આક્ષેપ બાદ રાજકારણ શરૂ થયું છે. જેમાં નાયકવાડના લોકોની આંગણવાડીની સમસ્યા અંગે નગરપાલિકાએ ખાતરી આપતા કહ્યું કે, જગ્યા મળશે તો તે સુવિધા વહેલી તકે પુરી પાડવાની છે. ઉપરાંત TP સ્કીમ હેઠળ માત્ર 3 જ રસ્તા નીકળતા હોય એ રસ્તાઓ પણ માત્ર 6 મીટર પહોળા હોવાનું જણાવી અનંત પટેલના તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે.

  1. અનંત પટેલે કર્યા ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું : રોડ-બ્રિજ બનાવવાથી વિકાસ ના થાય - Anant Patel On BJP
  2. Lok Sabha Election 2024 : દમણમાં ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલનો લોકસંપર્ક, સ્થાનિક વેપારીઓ જોડાયા

ABOUT THE AUTHOR

...view details