ગુજરાત

gujarat

સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ, જાણો મોરબી જિલ્લાની સ્થિતિ - Morbi rain update

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 8:10 AM IST

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તે વિસ્તારમાં નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લોકોની સલામતી માટે મોરબી જિલ્લામાં સામખીયાળી-માળીયા નેશનલ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.

સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ
સામખીયાળીથી માળીયા નેશનલ હાઈવે બંધ (ANI)

મોરબી : રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. પૂરગ્રસ્ત લોકોના સ્થળાંતર માટે 10 ટીમ તૈનાત કરી છે. અસરગ્રસ્તની જમવાની વ્યવસ્થા સાથે 30 આશ્રયસ્થાનો તૈયાર કરાયા છે. ટ્રાફિક વ્યવસ્થાપન તથા લોકોની સલામતી અર્થે પુલ-નદી જોવા ન જવા લોકોને તંત્રએ અનુરોધ કર્યો છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ તૈનાત કરી છે.

નેશનલ હાઈવે બંધ : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ પર વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે સામખીયાળીથી માળીયા સુધી નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

મચ્છુ નદીમાં પૂરની સ્થિતિ:ગઈકાલ રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ-2 ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાંકાનેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સવારે 1,18,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો કરતાં 2,67,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં આવી રહેલું પાણી માળિયા સુધી પહોંચી રહ્યું છે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતા છે. જેથી નીચાણવાળા વિસ્તારો ગઈકાલે રાતથી જ ખાલી કરવામાં આવ્યા છે.

બચાવ અને રાહત કામગીરી :લોકોના સ્થળાંતર માટે ખાસ 10 ટીમની રચના કરવામાં આવી છે, જે ગ્રાઉન્ડ લેવલે જઈ સ્થળાંતર કરવાની કામગીરી કરી રહી છે. સ્થળાંતર માટે જિલ્લામાં 30 જેટલા આશ્રયસ્થાનો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા સાથે જમવા અને પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્યની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

વાહનવ્યવહાર ડાયવર્ટ : આકસ્મિક પરિસ્થિતિ સર્જાય ત્યારે મદદ મોકલવામાં મોડું ન થાય અને પરિસ્થિતિને તાત્કાલિક પહોંચી વળાય તેવા હેતુથી કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સાથે પરામર્શ કરીને લોકોની સુરક્ષા માટે સામખીયાળીથી માળીયા સુધી નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવ્યો છે. આ વાહન વ્યવહારને સામખીયાળીથી રાધનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને સહકાર આપવા કલેકટરે અપીલ કરી છે. ઉપરાંત મોરબીમાં મચ્છુ નદી જોવા માટે લોકો પુલ પર એકત્ર થઈ રહ્યા છે, જેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉદભવી છે. જેથી ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ લોકોની સુરક્ષા અર્થે નદીના વિસ્તારમાં કે પુલ પર ન જવા મોરબી શહેરવાસીઓને પણ જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

  1. જુનાગઢ-પોરબંદર જિલ્લાના ઘેડમાં બીજી વખત ચિંતાજનક માહોલ
  2. નદીના પટમાં ફસાયેલા લોકોનું વડોદરા નજીક હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યૂ

ABOUT THE AUTHOR

...view details