કોંગ્રેસ ધારાસભ્યે કર્યા આકરા પ્રહાર (Etv Bharat Gujarat) ગાંધીનગર: કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે, બંધારણની જોગવાઈ અનુસાર છ માસમાં વિધાનસભા સત્ર બોલાવું પડે છે. બંધારણની જોગવાઈ અનુસાર સત્ર બોલાવવાનું થતું હોય તો 21 દિવસના સમયગાળો રાખીને સત્ર બોલાવવામાં આવે તેવી અમે માંગણી કરી હતી. જો 21 દિવસનું સત્ર યોજાય તો ગુજરાતની પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રશ્નોત્તરી સ્વરૂપે ગુજરાતના લોકોના પ્રશ્નો ઉઠાવવાની તક મળે છે. ચર્ચાથી ભાગતી આ સરકારે અમારી માંગણીને નજર અંદાજ કરી છે. ટૂંકી નોટિસથી સત્રની જાહેરાત કરી છે.
ટૂંકી નોટિસના સત્રની જાહેરાત થયા બાદ પણ રાજકોટનો અગ્નિકાંડ, ફોરેસ્ટ ભરતી પરીક્ષાના કૌભાંડ, નકલી કચેરીઓના કૌભાંડ હોય, ભુમાફિયા બેફામ થયા હોય, ખેડૂતોના પ્રશ્ન, ભરતી પ્રક્રિયાના પ્રશ્ન સહિતના અનેક પ્રશ્નોથી ગુજરાતની જનતા પરેશાન છે. આ પ્રશ્નોને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા જે ટૂંકી મુદતના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. તે પૈકી મોટાભાગના પ્રશ્નો રદ કરી દેવામાં આવ્યા છે.
પૂરતો સમય ફાળવવા માંગ:અમે વિધાનસભા સ્પીકર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ માંગણી કરી છે કે કોંગ્રેસ પક્ષ લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરે. ત્યારે તમે તેને રદ કરો તો ચર્ચા ન થાય. બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવો તે લોકશાહીમાં સ્વીકાર્ય નથી. એટલે અમે સ્પીકરને રજૂઆત કરી છે કે ટૂંકી મુદતના પ્રશ્નોના જવાબ આપવામાં કેટલાક મંત્રી ના પાડે છે. ગુજરાતની જનતાના પ્રશ્નોની ચર્ચા માટે પૂરતો સમય ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ટૂંકી નોટિસથી સત્ર બોલાવાયું:તેમણે વધુમાં જણાવ્યું કે વિધાનસભાના નિયમ અનુસાર તારાંકિત પ્રશ્નોત્તરી દાખલ કરવામાં આવતી હોય છે. ચૂંટાયેલા ધારાસભ્ય અલગ અલગ વિભાગના પ્રશ્ન પૂછી શકતા હોય છે. પરંતુ જ્યારે ટૂંકી મુદતની નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તારાંકિત પ્રશ્નો થઈ શકતા નથી. ટૂંકી નોટિસથી સત્ર બોલાવવામાં આવે છે ત્યારે તાકીદના મુદ્દાઓને લઈને ટૂંકી મુદતના પ્રશ્નો પુછાય છે. ટૂંકી મુદતના પ્રશ્નમાં જે તે વિભાગના મંત્રી સહમત ન થાય તે પ્રશ્ન દાખલ થતા નથી.
કોંગ્રેસ પક્ષ દ્વારા કેવડિયામાં આદિવાસી યુવાનની હત્યાનો પ્રશ્ન હોય, રાજકોટ અગ્નિકાંડનો પ્રશ્ન હોય, સરસ્વતી સાધના યોજનામાં સાયકલની ખરીદીનું કૌભાંડ, ડ્રગ્સ વગેરે મુદ્દે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્ન પર વિધાનસભામાં ચર્ચા થાય અને તેની હકીકતો રજૂ થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ટૂંકી મુદતના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપવામાં મંત્રીઓ સહમત થયા નથી. તેથી આ પ્રશ્ન ચર્ચામાં ન આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે.
- "ભુવા અને તાંત્રિકોનું આવી બન્યું", ગુજરાત સરકાર અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે લાવશે કાયદો - government of Gujarat