ગુજરાત

gujarat

માઈ ભક્તો માટે અદ્ભુત સુવિધા : માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી મેળવો ભાદરવી પૂનમ મેળાની તમામ માહિતી - Ambaji Bhadravi Poonam Mela

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2024, 2:28 PM IST

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં પદયાત્રી માઈ ભક્તોને શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે અથાક મહેનત કરી છે. માત્ર એક ક્યૂઆર કોડ સ્કેન કરવાથી તમામ પ્રકારની માહિતી મેળવી શકાશે. આ ભવ્ય મેળામાં જોડાનાર અંદાજે 30 લાખથી વધારે ભક્તો માટે શું તૈયારી કરવામાં આવી છે, જાણો આ અહેવાલમાં...

ક્યુઆર કોડ સ્કેન કરી મેળવો મેળાની તમામ માહિતી
ક્યુઆર કોડ સ્કેન કરી મેળવો મેળાની તમામ માહિતી (ETV Bharat Gujarat)

બનાસકાંઠા :ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB), શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત સહકારથી યાત્રાળુઓની સુવિધા, સલામતી અને સેવાના ભાવથી રાજ્યકક્ષાના ભાદરવી પૂનમ મેળાની સુચારું વ્યવસ્થા ગોઠવાઈ છે.

ભાદરવી પૂનમ મેળો :દર વર્ષે ભાદરવી પૂનમે ગુજરાતમાં અંબાજી ખાતે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે, જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આ વર્ષે મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવ્યો છે.

ક્યુઆર કોડમાં તમામ માહિતી:ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે આ વખતે વહીવટી તંત્રએ વ્યવસ્થાઓને જાણવા અને લોકેશન મેળવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેને સ્કેન કરવાથી તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે. હવે યાત્રાળુઓને કોઈપણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. આકસ્મિક સમયે સેવાનો લાભ લેવા માટે, માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાથી સુરક્ષા સહિતની જરૂરી તમામ સેવાઓની માહિતી મોબાઇલમાં જ મળી રહેશે.

વોટરપ્રૂફ ડોમ :અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલી ખુલ્લી જગ્યામાં, જૂની કોલેજ ખાતે આવેલી ખુલ્લી જગ્યામાં અને માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ડોમ બનાવવામાં આવ્યા છે.

આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટીપર્પઝ ડોમ, શૌચાલય, CCTV કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો અને સામાન મૂકવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત પોલીસની ખાસ પહેલ :પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ અકસ્માત અથવા દુર્ઘટનાનો ભોગ ન બને તે જરૂરી છે. યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓ અને તેમના વાહનો સહિતની ચીજવસ્તુઓ પર રેડીયમ પટ્ટી લગાવવામાં આવી છે. જેથી સાંજ અને રાતના સમયે આવતા જતા વાહનો તેમને જોઈ શકે અને અકસ્માત ટાળી શકાય.

શૌચાલય અને બાથરૂમ સુવિધા :ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઈલ ટોયલેટ, બાથરૂમ તથા યુરીનલની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી અંબાજી વાયા વિસનગર અને હિંમતનગરથી અંબાજી વાયા ઇડર જુદા-જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટોયલેટ બ્લોક, બાથરૂમ, ગરમ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. કુલ 18 સ્થળો પર પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ 7 ટોયલેટ (ઇન્ડિયન અને યુરોપીયન ટાઈપ), 3 બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

1 લાખ ચો.મી ક્ષેત્રમાં સફાઈ વ્યવસ્થા :અંબાજી યાત્રાધામ ખાતે કુલ 1,07,874 ચોરસ મીટર વિસ્તારમાં ઉત્તમ કક્ષાની સ્વચ્છતા/સફાઈની કામગીરી કરવામાં આવી છે. માત્ર જ મંદિર જ નહી, પરંતુ આજુબાજુના વિસ્તાર, ગબ્બર, 51 શકિતપીઠ તથા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોમાં પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં સંઘ/યાત્રિકો આવનાર હોવાથી યાત્રાધામ અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા, મહેસાણા-પાલનપુર વગેરે નગરપાલિકા પાસેથી પણ સ્વચ્છતા માટે આધુનિક ટેકનીક મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવે છે. યાત્રાધામ બોર્ડ દ્વારા વધારાના સફાઈકર્મીઓની ફાળવણી બાબત આયોજન હેઠળ છે.

સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન :અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પ્રસાદ વિતરણના મંડપ, CCTV કેમેરા, 2 કંટ્રોલ રૂમ, પગરખાં કેન્દ્ર, ઈલેક્ટ્રીકલ સ્ટ્રીટ લાઈટ, 35 પ્લાઝમા T.V. LED, AR-VR સિસ્ટમ, પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ વોટરપ્રૂફ ડોમ, મેઈન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, એન્ટ્રી ગેટ, વેલકમ પિલર સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા 15 થી 14 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવશે.

વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા :યાત્રિકો માટે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા 2024 અંતર્ગત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દિવાળી બા ભવન અને ગબ્બર સર્કલ પાસે ભોજન વ્યવસ્થા માટે વોટરપ્રુફ ડોમ તેમજ અન્ય ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતી કામગીરી કરવામાં આવી છે. જેમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તેમજ અન્ય દાતાઓ દ્વારા કરવામાં આવી છે.

ચુસ્ત સુરક્ષા અને પાર્કિંગ વ્યવસ્થા :ભાદરવી પૂનમ મેળા દરમિયાન યાત્રાળુઓની સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કેમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.

આ વર્ષે અલગ અલગ વિભાગોની તમામ કામગીરીને એક જ ટેન્ડરમાં સાંકળી અધતન સ્પેશીફીકેશન સાથે વિશિષ્ટ કામગીરી કરવામાં આવી છે, જેમાં પગપાળા જતા યાત્રાળુઓ માટે 9000 ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થામાં કરવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બેડની વ્યવસ્થા, સ્વચ્છ ટોઇલેટ, ચાર્જિંગ પોઈન્ટ, પીવાના પાણી અને મેડિકલ સુવિધા ડોમમાં જ આપવામાં આવે છે.

દિશાનિર્દેશ માટે વ્યવસ્થા :આ ઉપરાંત અંબાજીના બંને માર્ગ પર આશ્રયસ્થાનોની સુવિધા, પીવાના પાણીની સુવિધાને સુવ્યવસ્થિત પેવરબ્લોક ફ્લોરિંગ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. ભાદરવી પૂનમ મહામેળામાં હોર્ડીંગ્સ, સાઈનેજીસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકસમાન થીમ આધારિત કુલ 2700 ચો.મી. વિસ્તારમાં બ્રાન્ડીંગની કામગીરી, કુલ 450 જેટલા ફ્લેગ્સ, 28 જેટલા બોક્સ પિલ્લર, કુલ 10 એન્ટ્રી ગેટ અને 2 બોક્ષ ગેટ દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મનમોહક લાઈટીંગ : ગબ્બર રૂટ, અંબાજી મંદિર, અંબાજીમાં પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ, માર્ગ અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇનમાં સુધારો કરી આ વર્ષે માતાજીના સ્વરૂપ પર થીમ બેઝ લાઇટિંગ કરવામાં આવી છે. જેથી તમામ સ્થળો પર એક સમાન થીમ આધારિત લાઈટીંગ રહે. ભક્તો માટે પ્રસાદ વિતરણ કેન્દ્ર પણ સામાન્યને બદલે અધ્યતન બનાવવામાં આવ્યા છે. મુખ્ય મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે, તેમજ રાત્રી દરમિયાન ચાચર ચોકમાં દીવાની લાઈટીંગ કરવામાં આવી છે.

  1. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ
  2. માઈભક્તો વીમા કવચથી સુરક્ષિત : અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 3 કરોડનું વીમા કવચ

ABOUT THE AUTHOR

...view details