નવી દિલ્હી:પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ભીડને કારણે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. 12 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ નંબર 12131415 અને 16 પર ભારે ભીડને કારણે આ ઘટના બની હતી. કેન્દ્રએ તપાસના આદેશ આપ્યા.
લોક નાયક હોસ્પિટલના પ્રશાસને 18 લોકોના મોતની પુષ્ટિ કરી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારની રજા હોવાના કારણે શનિવારે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા. શનિવારે જનરલ ટિકિટોનું પણ ઘણું વેચાણ થયું હતું.
રેલ્વે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમારે રેલ્વે સ્ટેશન પર પહોંચીને ઘટનાનો તાગ મેળવ્યો અને મામલાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
આ ઘટના પ્લેટફોર્મ નંબર 14/15 પર રાત્રે 8.30 વાગ્યે બની હતી, જ્યારે મુસાફરો પ્રયાગરાજ તરફ જતી બે ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ ટ્રેનો આવી ન હતી, જેના કારણે પ્લેટફોર્મ પર મુસાફરોની ભીડ એકઠી થઈ ગઈ હતી.
વારાણસી જતી શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ પર ઉભી હોવાથી તેના મુસાફરો પણ પ્લેટફોર્મ પર પહોંચવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં ભીડ વધી ગઈ અને ભીડને કાબૂમાં રાખવાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ધક્કા-મુક્કી શરૂ થઈ અને અચાનક નાસભાગ મચી ગઈ. જેના કારણે કેટલાક લોકો પ્લેટફોર્મ પર પડી ગયા હતા અને ભીડમાં કચડાઈ ગયા હતા.
રેલવે મંત્રીએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું, "નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પરિસ્થિતિ કાબૂમાં છે. દિલ્હી પોલીસ અને આરપીએફ પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અચાનક ભીડને હટાવવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.