પાકિસ્તાન ખાતે ગુરૂ નાનક સાહેબજીના જન્મ સ્થળથી એક મોટી સંખ્યામાં શીખો દ્વારા ભારતમાં એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો સંદેશો શાંતિનો છે. જે યાત્રા પાકિસ્તાનથી નીકળીને દેશના વિવિધ પ્રાંતોમાં ફરીને બુધવારના રોજ ગુજરાતમાં વડોદરા શહેરમાં પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો આ યાત્રામાં જોડાયા હતાં. શીખ સમુદાયના લોકોએ તેમના ગ્રંથ અને તેમના શસ્ત્રોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાડોશી દેશ પાકિસ્તાનમાં 500 વર્ષ જૂનું ગુરૂદ્વારા હવે ભારતથી આવતા શીખ યાત્રાળુઓ માટે એક આસ્થાનું પ્રતીક બની ગયું છે, ત્યારે આ સ્થળેથી ગુરૂ નાનકજીની 550મી જન્મજયંતીના ભાગરૂપે 500થી વધુ શીખ લોકો ગુરૂ નાનકજીના ગ્રંથ અને તેમના શસ્ત્રો સાથે દેશ ભ્રમણ કરી શાંતિનો સંદેશો આપી રહ્યા છે, ત્યારે આ શાંતિ સંદેશા સાથેની યાત્રા ભારતમાં પ્રવેશ કરી વિવિધ પ્રાંતોમાં ભ્રમણ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં આવી પહોંચી હતી. શહેરના છાણી વિસ્તારમાં આવેલા ગુરૂદ્વારા ખાતે આ યાત્રા આવી પહોંચતા મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો પવિત્ર ગ્રંથ અને તેમના શસ્ત્રોના દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.