વડોદરાઃ શહેરના માંજલપુર ઇવા મોલની બાજુમાં આવેલી ત્રિભુવન ધામ હાઉસિંગ સોસાયટીના આંતરિક રસ્તાઓ પર સ્થાનિક લોકોએ કમ્પાઉન્ડ વોલ,ઓટલા, શેડ, ગેટ વગેરે જેવા દબાણો ઉભા કરી દીધા હતા. આ મામલે પાલિકા તંત્રને ફરિયાદ મળી હતી. જે અંગે દબાણ કરનારાઓને નોટિસ અપાઇ હોવા છતાં પણ દબાણ યથાવત રાખ્યા હતા.
જેથી પાલિકાની દબાણ શાખાની ટીમે વોર્ડ નંબર 4 ના એન્જિનિયરિંગ વિભાગની સુચના મુજબ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું શરૂ કર્યું હતું. આ કાર્યવાહીથી સ્થાનિક રહીશોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે હાજર હોવાથી મામલાને થાળે પાડયો હતો. GEB સ્ટ્રીટલાઈટ વિભાગના સ્ટાફની હાજરીમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.