દેશની ભારતીય સૈન્ય, પોલીસ દળમાં ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને જે રીતે આર્મીની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે તે જ રીતે રાજ્ય સરકાર દ્વારા નિષ્ણાંત પ્રશિક્ષકો દ્વારા નિવાસી તાલીમ વર્ગમાં આર્મીની તાલીમ આપવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા યુવાનોના નિવાસ અને ભોજનનો તમામ ખર્ચ સહિત રૂપિયા 3000 હજારનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવી રહ્યું છે.
સુરત શહેરમાં આવેલા વરાછા વિસ્તારમાં રહેતા અને બી.કોમનો અભ્યાસ કરી રહેલા 21 વર્ષિય તાલીમાર્થી બ્રિજેશ કાછડિયા જણાવ્યું છે કે, "કૉલેજના અભ્યાસની સાથે મેં મનોમન નક્કી કર્યું છે કે, દેશ માટે વિચારવાની આ યોગ્ય ઉંમર છે, અને મારે ભારતીય સેનામાં જોડાઈ સૈનિક તરીકે દેશનું ગૌરવ વધારવું છે. અહીં આપવામાં આવતી તાલીમ જીવનભરનું સંભારણું બની રહેશે. તાલીમ માટે મેદાન, ગણવેશ, ભોજન, સ્પોર્ટર્સ કિટ્સ પણ આપવામાં આવ્યા છે.
મૂળ ઓરિસ્સાના વતની અને સચિન ખાતે રહેતા 20 વર્ષિય તાલીમાર્થી રંજન ગૌડ પણ બાળપણથી સૈનિક બની દેશસેવા કરવાની તમન્ના ધરાવે છે. રંજને તાલીમ કેન્દ્ર વિશે જણાવે છે કે, "હું આ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી ખૂબ ખુશ છું. કારણ કે જીવનમાં શિસ્ત, સમર્પણ, એકતા અને ભાઈચારાની ભાવના જેવા અનેક ગુણો મને અહીથી શીખવા મળ્યા છે. રંજન આ પ્રકારના તાલીમવર્ગને યુવાવર્ગની આશા, અપેક્ષા અને મહત્વાકાંક્ષાને બળ આપવાના પ્રયાસ હોવાનું જણાવી ઉમેરે છે કે, 30 દિવસની આકરી તાલીમ મારા માટે નવું પ્રેરકબળ બની રહેશે"
તાલીમ વર્ગની સુયોગ્ય વ્યવસ્થા કરનાર જિલ્લા રોજગાર કચેરીના નાયબ નિયામક મુકેશ વસાવાએ તાલીમવર્ગ વિશે જણાવ્યું હતું કે, રોજગાર કચેરી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં 500 જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી. પસંદગી પ્રક્રિયાના અંતે 85 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે. વહેલી સવારે 5.30 વાગ્યે ઘલુડી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં લાંબી દોડ, ઉચી કુદ, જમ્પ, પરેડ, માર્ચ પાસ્ટ જેવી સઘન તાલીમ આપીને તાલીમાર્થીઓની સજ્જ કરવામાં આવી રહ્યાં છે. તેમના માટે નાસ્તો, પૌષ્ટિક ભોજનની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉપરાંત, પ્રેક્ટિકલ તાલીમ સાથે સ્પર્ધાત્મક તાલીમ વર્ગના અનુભવી નિષ્ણાંત શિક્ષકો દ્વારા થિયરીકલ ક્લાસ લેવામાં આવે છે. આ ઉપરાંત સંરક્ષણ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને વધુ 15 દિવસની તાલીમ આપવામાં આવશે.