- રેન્જ આઈજી એસ.પી.રાજકુમારે કર્યો હુકમ
- નબળી કામગીરીને લઈ બે પોલીસ કર્મીઓને જિલ્લામાં પરત કરાયા
- રેન્જ કચેરીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીની આંતરિક બદલી
બારડોલી: સુરત રેન્જ આઈજી એસ.પી. રાજકુમારે આર.આર.સેલમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની નબળી કામગીરી બદલ મૂળ જિલ્લામાં પરત કરવાનો હુકમ કર્યો હતો. જ્યારે રેંજની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની આંતરિક બદલી કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે.
સુરત ગ્રામ્ય અને નવસારી જિલ્લાના પોલીસકર્મીઓને પરત મોકલાયા
છેલ્લાં કેટલાક સમયથી સુરત રેન્જની આર.આર.સેલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ અશોકસિંહ ગોહિલ અને નવલસિંહ ગજેન્દ્રસિંહની કામગીરી સંતોષકારક ન હોવાથી મૂળ જિલ્લામાં પરત કરવાનો હુકમ કર્યો છે. ગિરિરાજસિંહને સુરત ગ્રામ્ય અને નવલસિંહને નવસારી જિલ્લામાં પરત મોકલી આપવામાં આવ્યા છે.
રેન્જ કચેરીના બે કર્મચારીઓની આર.આર.સેલમાં નિમણૂક
બીજી તરફ રેન્જ કચેરી ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. ગુલાબ છનાભાઈની બદલી કરી તેમને રીડર શાખામાં, એ.એસ.આઈ. દિપક વિઠ્ઠલને કન્ટ્રોલ રૂમથી આર.આર.સેલમાં અને હેડ કોન્સ્ટેબલ જીગ્નેશ ચીમન પટેલને રીડર શાખામાંથી બદલી કરી આર.આર.સેલમાં નિમણૂક આપવામાં આવી છે.
નવસારીના પોલીસકર્મીને ત્રણ માસ માટે આર.આર.સેલમાં પ્રતિનિયુક્તિ
જ્યારે નવસારી જિલ્લામાં ફરજ બાજવતા એ.એસ.આઈ. જયકૃષ્ણ દોલતસિંહને ત્રણ માસની પ્રતિનિયુક્તિ પર સુરત રેન્જની આર.આર.સેલમાં નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો છે. આર.આર.સેલમાં કરવામાં આવેલા મોટાપાયે ફેરફારને લઈ લાંબા સમયથી અલગ અલગ બ્રાન્ચમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.