સુરત: ઉધના વિસ્તારમાં રહેતાં વિજય ભાજપોર છેલ્લા અઢી વર્ષથી પોતાના 80 વર્ષના પિતાની શોધ-ખોળ કરી રહ્યા હતા. તેમણે દરેક પોલીસ સ્ટેશન અને વૃદ્ધાશ્રમાં પોતાના પિતા વિશે પુછપરછ કરી હતી. તેમણે શહેરની સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર વિશે જાણવા મળ્યું હતું. તેમણે આ સંસ્થા દ્વારા બિન વારસી મૃતકોના ફોટો રજૂ કરવામાં આવે છે તેમાંથી પોતાના મૃત પિતાને શોધી કાઢ્યા હતા. અઢી વર્ષ બાદ પોતાના મૃત પિતા વિશે જાણકારી મળતા વિજય ભાજપોર ભાવુક બન્યા હતા.
સમગ્ર ઘટનાક્રમઃ ઉધનામાં રહેતા વિજય ભાજપોરના પિતા શંકર ભાજપોર અઢી વર્ષ અગાઉ ક્યાંક ચાલ્યા ગયા હતા. શંકર ભાજપોર તેમના સગાસંબંધીના ઘરેથી ગુમ થયા હતા. વિજય ભાજપોર અઢી વર્ષથી તેમના પિતાની શોધ-ખોળ કરી રહ્યા હતા. અઢી વર્ષમાં તેમણે દરેક પોલીસ સ્ટેશન, વૃદ્ધાશ્રમ અને રેલવે સ્ટેશન પર તપાસ કરી હતી. જો કે આ તપાસમાં કંઈ નક્કર માહિતી વિજયને મળતી નહતી. વિજયને શહેરની સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર વિશે જાણવા મળ્યું હતું. આ સંસ્થા દ્વારા બિન વારસી મૃતકોના ફોટો વર્ષમાં એકવાર રજૂ કરવામાં આવે છે. વિજય ભાજપોરે આશરે 1000 મૃતકોના ફોટો જોયા બાદ તેમાંથી પોતાના મૃત પિતાને શોધી કાઢ્યા હતા. સંસ્થા દ્વારા વિજય ભાજપોરને માલૂમ પડ્યું કે તેમના પિતા અઢી વર્ષ અગાઉ ગુજરી ગયા હતા અને તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.
અગ્નિદાહ સેવા કેન્દ્રઃ 23 વર્ષ અગાઉ આ સંસ્થાની શરુઆત થઈ હતી. આ સંસ્થા દ્વારા બિન વારસી મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. આ સંસ્થા વિનામૂલ્યે અગ્નિ સંસ્કાર ઉપરાંત મૃતકોના અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ પણ કરે છે. છેલ્લા 23 વર્ષમાં આ સંસ્થાએ 8,000થી વધુ બિન વારસી મૃતકોની અંતિમ વિધિ કરી છે. આ સંસ્થા વર્ષમાં એકવાર મૃતકોના ફોટોને રજૂ કરે છે. જેથી વાલી વારસ પોતાના સગા સંબંધીની ભાળ મેળવી શકે. અત્યાર સુધી 56 બિન વારસી મૃતકોના પરિવારો પોતાના સગા સંબંધી વિશે માહિતી મેળવી ચૂક્યા છે. આ સંસ્થા દાતાઓના દાન અને સેવાભાવી નાગરિકોની મદદથી ચાલી રહી છે.
હું અઢી વર્ષથી મારા લાપતા પિતાની શોધ કરતો હતો. મને કોઈ નક્કર માહિતી મળી નહતી. ત્યારબાદ મને આ સંસ્થા વિશે જાણવા મળ્યું. આ સંસ્થા દ્વારા વર્ષમાં એક વાર મૃતકોના ફોટોને રજૂ કરવામાં આવે છે. મેં અનેક ફોટો જોયા બાદ મારા મૃતક પિતાને શોધી કાઢ્યા હતા. હું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મારા પિતાનું પીંડદાન કરીશ જેથી તેમના આત્માને શાંતિ મળે...વિજય ભાજપોર(મૃતકના પુત્ર, સુરત)
23 વર્ષ અગાઉ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેનો અગ્નિસંસ્કાર મેં કર્યો હતો. ત્યારે હું મારા પિતાના ઝરીના વ્યવસાય સાથે સંકળાયેલ હતો. મેં એ વ્યવસાય છોડીને આ સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું. મેં એક ટ્રસ્ટની શરુઆત કરી અને અગ્નિદાહ સેવા કેન્દ્ર શરુ કર્યુ.અમે તમામ મૃતકોના ફોટો અને ડેટા રાખીએ છીએ જેથી તેમના પરિવારજનો સહેલાઈથી મૃતકોને ઓળખી શકે. આ ટ્રસ્ટ સેવાભાવી લોકોના દાન અને મદદથી ચાલે છે...વેણીલાલ મારવાળા(પ્રમુખ, અગ્નિદાહ સેવા કેન્દ્ર, સુરત)