સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે ગત સોમવારના રોજ વતન જવાની માંગ સાથે હજારોની સંખ્યામાં પરપ્રાંતિય મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન બેકાબૂ બનેલી ભીડને ભડકાવનાર રવિ અને તેના પરિવારના સભ્યો સહિત 204 લોકોની ધરપકડ કરી હતી. પહેલા દિવસે પોલીસે આરોગ્ય વિભાગ મારફત પકડાયેલા 204માંથી 15 આરોપીઓના સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા હતા. જેમાં 2 આરોપીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જે બાદ બીજા દિવસે વધુ 15 આરોપીઓના ટેસ્ટ કરવામાં આવતા હતા, તેમાંથી વધુ ચાર લોકોના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 4 લોકોના કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.
બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર વરેલી ગામમાં સર્વે કામગીરી શરૂ કરી દીધી છે. ગત રોજ કરેલા 15 ટેસ્ટમાંથી ચાર કેસ સામે આવતા આરોગ્યની ટીમ દ્વારા તમામ આરોપીઓનું માસ ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ આ આરોપીઓના સંપર્કમાં આવેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ક્વોરોંટાઇન કરવામાં આવ્યા છે.