રાજકોટઃ કોરોના વાઇરસની મહામારીના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. ત્યારે હજુ પણ ભારતમાં કોરોના સતત પોઝિટિવ કેસમાં વધારો થયો છે. હાલ અનલોક 2 જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અનલોક 2માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેને લઇને કોરોના વાઇરસ ખૂબ જ સહેલાઈથી ફેલાઈ રહ્યો છે.
હાલ રાજ્યમાં તહેવારોનો માહોલ શરૂ થયો છે. જેમાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં ભરાય છે. આ મેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. 5 દિવસ સુધી યોજાનારો મેળામાં રોજના અંદાજીત 5 થી 10લાખ લોકો આ મેળાની મુલાકાત લેતા હોય છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાના કારણે વહીવટી તંત્ર દ્વારા રાજકોટનો વિખ્યાત લોકમેળો નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાથે જ રાજકોટ જિલ્લામાં યોજાતા ખાનગી મેળાઓ પણ રદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સો જેટલા નાના મોટા લોકમેળાઓનું આયોજન થાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે લોકમેળા નહીં યોજવાનું વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અંદાજિત 50 વર્ષમાં પ્રથમવાર રાજકોટનો ઐતિહાસિક લોકમેળો આ વર્ષે નહીં યોજાય.