રાજકોટઃ શહેરના આજી અને ન્યારી ડેમમાં ફરી એકવાર નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું છે. સૌની યોજના હેઠળ રાજકોટના ડેમમાં સતત ચોથી વખત નર્મદાનું પાણી ભરવામાં આવ્યું છે. જેના કારણે ઉનાળામાં પણ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટવાસીઓને દરરોજ 20 મીનિટ પાણી આપવાની જાહેરાત કરી હતી.
સમગ્ર રાજ્યમાં હાલ પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે એવામાં રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. રાજકોટમાં સતત ચોથી વખત સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ડેમોમાં ઠાલવવામાં આવ્યું છે જેથી લોકોને પાણી માટે વલખા નહીં મારવા પડે. આ સાથે જ ડેમની આસપાસની નાની-નાની નદીઓ પણ પુનજીવિત થશે.
રાજકોટ મનપા દ્વારા આજી ડેમ માટે 400 અને ન્યારી ડેમ માટે 100 MCFT પાણી માંગવામાં આવ્યું છે. નર્મદાનો આ પાણીનો જથ્થો રાજકોટના ડેમમાં આવતાની સાથે આગામી 31 જુલાઇ સુધી રાજકોટના ડેમોમાં પાણી ખાલી નહીં થાય.