રવિવાર સવારે રાજકોટ મહાનગરપાલિકાના ચેરમેન જયમિન ઠાકર દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સદર બજારમાં આવેલી બહાદુર કન્યા વિદ્યાલયમાં થતું આયુષ્માન કાર્ડ કૌભાંડ સામે આવ્યું હતું. ઘટનામાં સંડોવાયેલાં આરોપીઓ લોકો પાસે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કાર્ડ દીઠ રૂપિયા 700 વસૂલતા હતા. જ્યારે સરકાર દ્વારા આ કાર્ડ નિઃ શુલ્ક કાઢી આપવામાં આવે છે.
આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કેમ્પ ચલાવનાર 4થી વધુ ઓપરેટરોની સહિતના લોકોની પૂછપરછ કરી હતી. જેમાં આ આરોપીઓએ 250 જેટલાં કાર્ડ માત્ર રાજકોટમાં યોજાયેલા કેમ્પમાં કાઢ્યાં હોવાનું બહાર આવ્યું હતું.
આ ઘટના અંગે વાત કરતાં આરોગ્ય ચેરમેને જણાવ્યું હતું કે, 'સમગ્ર રાજ્યમાં આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં જ અનેક જિલ્લાઓ આ પ્રકારની છેતરપીંડી ચાલી રહી છે. જેને નાથવા માટે તંત્ર સતર્ક થયું છે.'