રાજકોટ: સામાન્ય રીતે આપણે અત્યાર સુધી વિવિધ વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ જોયા, બાલાશ્રમ જોયા, તેમજ નિરાધાર લોકો માટે પણ આશ્રમો જોયા છે પરંતુ શહેરના જામનગર રોડ પર ખંડેરી ગામ નજીક આ શ્વાન આશ્રમ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ રખડતા ભટકતા અને બીમાર 135 જેટલા શ્વાનો આશરે લઈ રહ્યા છે.
24 કલાક તબીબ ઉપલબ્ધ: આ શ્વાન આશ્રમ ખાતે આવતા શ્વાનોની સારવાર માટે અમે એક ડોક્ટર પણ રાખેલા છે. જેમાં ગમે ત્યારે ઇમરજન્સી હોય કે ડેઇલી રૂટીન ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં કોઈ શ્વાનનું ઓપરેશન કરવાનું હોય, એકસીડન્ટમાં કોઈ શ્વાનના પગનું હાડકું તૂટી હોય, અથવા તો નોર્મલી ટ્યુમર છે કે બીજી કોઈપણ સારવાર હોય અહીંયા જ તમામ સારવાર આપવામાં આવે છે. જેમને આ આશ્રમમાં મેડિકલ સારવાર સાથે ભોજન પણ આપવામાં આવે છે તેમજ તેમની ખૂબ જ સારી રીતે દેખભાળ પણ કરવામાં આવી રહી છે.
" હું અહી શ્વાન અને વૃદ્ધાશ્રમ બન્નેનું સંચાલન કરું છું. જ્યારે બે મહિના પહેલા 50 જેટલા શ્વાનોની સાથે આ શ્વાન આશ્રમની શરૂઆત અમે કરી હતી. અત્યારે અમારી પાસે 135 શ્વાનો છે. જેમાં કેટલાક શ્વાનો બીમાર છે કે પછી અંધ છે અથવાતો પેરાલીસીસ થઈ ગયું છે કે સ્કીન ડીસીઝ છે અને માર્ગ અકસ્માતમાં ઘાયલ થઈ ગયેલા શ્વાનો છે. મુખ્યત્વે શ્વાન આશ્રમ એ યુપીકે મધ્યપ્રદેશમાં મોટા પ્રમાણમાં પરંતુ ગુજરાતમાં આવા કોઈ મોટા આશ્રમ નથી. અમને સૌ પ્રથમ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શ્વાનો માટેનું આશ્રમ બનાવવાનો વિચાર આવ્યો હતો. જેનાથી અમે રાજકોટમાં સદભાવના શ્વાન આશ્રમની શરૂઆત કરી હતી." - ખુશી પટેલ, સંચાલક, શ્વાન આશ્રમ
500 કરતાં શ્વાનને સાચવવાની વ્યવસ્થા: ખુશી પટેલે વધુમાં જણાવ્યું હતી કે અમને લોકો દ્વારા ફોન કરવામાં આવે છે કે અહીંયા શ્વાન આવી અવસ્થામાં છે. આ સાથે જ સોશિયલ મીડિયા મારફતે પણ અમે લોકોને અપીલ કરતા હોઈએ છીએ કે તમારી આસપાસના વિસ્તારમાં બીમાર, ઇજાગ્રસ્ત અથવાતો મોટી ઉમરના શ્વાન હોય તો અમને માહિતી આપો, જેમાં લોકો પણ એમને માહિતી આપતા હોય છે અને આવી રીતે આ શ્વાન સદભાવના આશ્રમ ખાતે પહોંચે છે. જ્યારે અહી ભવિષ્યમાં જો શ્વાનોની સંખ્યા 500 કરતા પણ વધી જશે તો પણ અમારી પાસે તેમને સાચવવાની વ્યવસ્થાઓ છે.