વર્તમાન સમયમાં ઘણા દંપતીઓ નિ:સંતાનપણાથી પીડાઈ રહ્યાં છે. ત્યારે કરમાળ નદીના કિનારેથી 3 દિવસનું નવજાત શિશુ મળી આવ્યું છે. જેને હાલ સારવાર હેઠળ ગોંડલ સરકરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. નવજાત શિશુને હાલત જોઈને ગ્રામજનોએ બાળકની માતા પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે તેને આકરી સજા અપાવાની માગ કરી હતી.
આ બનાવ અંગે ગામના સરપંચ સુરેશભાઈ બેરાણીએ જણાવ્યું હતું કે, "ગામમાં જ રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં ભગાભાઈ બાબરીયા સવારે પોતાનું પશુધન લઈ ચારો ચરાવી રહ્યા હતા. ત્યારે નદી કિનારે બાળકના રુદનનો અવાજ સંભળાતા ક્ષણભર ગભરાઈ ગયા હતા. ત્યારબાદ અન્ય લોકોને બોલાવી રૂદનનો અવાજ આવી રહ્યો હતો. ત્યાં પહોંચી નજર કરતા કાળી ધાબડીમાં વીંટેલી હાલતમાં એક નવજાત પુત્ર રૂપી બાળક મળી આવ્યું હતું. બાદમાં સાણથલીની 108 એમ્બ્યુલન્સના પાયલોટ સંજય સાંબડ, ઈ. એમ.ટી હેમંત શેખ દ્વારા નવજાત શિશુની પ્રાથમિક સારવાર કરી ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગોંડલ બાલાશ્રમ કમિટીના ચેરમેન અનીતાબેન રાજ્યગુરુ તેમજ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુને ઘટનાની જાણ થતાં બંને સરકારી દવાખાને દોડી આવ્યા હતા. તેમજ પોલીસને જાણ કરી નવજાત બાળકનો કબજો બાલાશ્રમે મેળવી લીધો હતો. હાલ, આ અઢી કિલોનું વજન ધરાવતા નવજાત શિશુને ગોંડલ સરકારી દવાખાનામાં તબીબની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.
આ અંગે કરમાળાના ગ્રામજનોએ રોષ ઠાવતાં જણાવ્યું હતું કે, "શિયાળાની શરૂઆત થઈ જેથી નદી કિનારે પરોઢીએ ઠંડીનું વાતાવરણ પણ વધારે હોય છે. ત્યારે આ નિષ્ઠુર માતાએ કઈ મજબૂરીમાં પોતાના કાળજાના કટકાને તરછોડ્યું હશે. નદી કિનારે શ્વાન સહિતના પ્રાણીઓની અવર-જવર પણ વધુ રહેતી હોય છે. ત્યારે આ નવજાત બાળક હેમખેમ મળી આવતાં ગ્રામજનોએ હાશકારો પણ અનુભવ્યો હતો."