પોરબંદર: જિલ્લાના બરડા પંથકની કેરી ખૂબ ફેમસ છે જેમાં બરડા વિસ્તારમાં આવેલા ખંભાળા, હનુમાનગઢ, આદિત્યાણા, કાટવાણા,મોડપર વગેરે વિસ્તારોમાં કેરીના બગીચાઓ આવેલા છે, આ વિસ્તારની કેસર કેરી ખૂબ પ્રખ્યત છે.
ગીરની કેરી કરતા બરડા વિસ્તારની કેસર કેરી વધુ રસદાર અને મીઠી તેમજ મોટું ફળ હોય છે. કાળી માટીના કારણે કેસર કેરીનો પાક ગીર કરતા સારો હોય છે, અને પાક માટે વાતાવરણ પણ અનુકૂળ હોય છે. હવે આ બરડાની કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થઇ રહી છે, પરંતુ આ વખતે કોરોના વાઇરસને લઇને લોકડાઉનના કારણે કેરી વિદેશ એક્સપોર્ટ થવામાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે લોકડાઉનના સમય દરમિયાન રાણાવાવ નજીકના મોડપર હિલમાં એક ખેડૂતે પોતાની 50 વિઘા ખેતરમાં ઓર્ગેનિક ખેતી વડે કેરીનો મબલખ પાક ઉતારી ઓનલાઇન વેચાણ કરી બમણો લાભ મેળવ્યો છે.
જેમાં તેઓના ખેતરમાં હાફુસ કેરીના 600 સહિત અન્ય 18 જાતની કુલ 1400 આંબામાં કેરીનો પાક ઉતાર્યો છે.પોરબંદરના માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા અને રાણાવાવ નજીક મોડપર હિલમાં આવેલા રોયલ ફાર્મ ધરાવતા કિશોરભાઈ ઓડેદરા નામના ખેડૂતે પોતાના 50 વિઘા ખેતરમાં વર્ષોથી ઓર્ગેનિક ખેતી દ્વારા કેરીઓનો પાક ઉતારે છે.
આ વખતે પણ આ ખેડૂતે પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી 1400 જેટલા આંબાઓમાં 18 જેટલી જાતની કેરીઓ ઉતારી છે, જેમાં 600 આંબાઓમાં હાફૂસ કેરીનો પાક ઉતાર્યો છે. આ ખેડૂતે તેના ખેતરમાં રાસાયણિક ખાતર નહિ પરંતુ ગીર ગાયના છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી છે. દર વર્ષે ઓમાન સહિત અન્ય દેશમાં કેરીઓની સપ્લાય થતી હોય, પરંતુ આ વખતે આ ખેડૂતે લોકડાઉનને પગલે ઓનલાઇન તેમજ ગ્રાહકોને સીધું કેરીનું વેચાણ કરી બમણો ફાયદો મેળવ્યો છે.
ગીરગાયના ગૌમૂત્ર અને છાણનો ખાતર તરીકે ઉપયોગ
કિશોરભાઈ આંબામાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી. તેઓના ફાર્મ ખાતે 100 થી વધુ ગીરગાય છે જેનું ગૌમૂત્ર,છાણ વગેરેનો જ પોતાના ફાર્મના તમામ આંબામાં ખાતર તરીકે ઉપયોગ કરે છે. જેથી કેરીનો સ્વાદ અને ગુણવતા જળવાઈ રહે છે.
30 હજાર કિલો કેરીનું ઓનલાઇન વેચાણ કર્યું
કિશોરભાઈ ઓડેદરા કોન્કોર્ડ એગ્રો એક્સપોર્ટના નામથી કેરીની દેશ વિદેશમાં નિકાસ કરે છે, પરંતુ આ વખતે લોકડાઉનના કારણે કેરી વિદેશ એક્સપોર્ટ કરવામાં અનેક સમસ્યાઓ હોવાથી 50 વિઘામાં કેરીનો પાક ઉતારી લોકડાઉન દરમિયાન 30 હજાર કિલો કેરીનું ઓનલાઇન વેચાણ કર્યું છે, જેથી એજન્ટને વેપારીનું કમિશન નીકળી જતા તેઓને વધુ ફાયદો થયો છે.
બરડાના ખેડૂતો હાફૂસ કેરી વાવે તો વધુ લાભ મળે તેમ કિશોરભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું. રાણાવાવના ખંભાળા,હનુમાનગઢ,મોડપર સહીતના ગામોમાં મુખ્યત્વે કેસર કેરીનું વાવેતર કરવામાં આવે છે. કેરીઓનો “રાજા” ગણાતી “હાફૂસ” કેરી માટે મહારાષ્ટ્રનો રત્નાગીરી જિલ્લો ગઢ ગણાય છે અને તેનો ભાવ પોરબંદર પંથકમાં ખુબ ઉંચો આવે છે આથી તેઓએ હાફૂસના 600 આંબાનું વાવેતર કર્યું હતું જે ખુબ સફળ રહ્યું છે.આથી રાણાવાવ પંથકના ખેડૂતો પણ જો હાફૂસનું વાવેતર કરે તો તેને કેસરની સરખામણી એ સારું એવું વળતર મળી શકે છે ૉ.
એક જ મેંગો ફાર્મમાં 18 જાતની કેરીઓ
મોડપર હિલમાં ખેડૂતે 50 વિઘા ખેતરમાં કુલ 1400 આંબાઓ પરથી કેરીઓ ઉતરી છે, જેમાં હાફૂસ, કેસર, આમ્રપાલી, પાયરી, દૂધપેડો, દશેરી, લંગડો, વનરાજ, રાજાપૂરી, સુંદરી, નીલમ, બદામી હાફૂસ, શ્રાવણીયો, માલદારી, રેશમિયા, કરેજીયા સહિતની અલગ અલગ જાતી ની કેરીઓ ઉતરી છે.
આંબાઓ જમીન માંથી પોષણ ખેંચી મીઠી કેરી વાળું ફળ આપે છે. ખેડૂતે એવું જણાવ્યું હતું કે શરૂઆતમાં આંબાઓમાં પાણી પીવડાવવામાં આવે છે, બાદમાં આંબાઓ જમીન માંથી પોષણ ખેંચી પોષણ મેળવી મીઠું અને મોટું ફળ આપે છે, જેમાં સાંખ ની કેરી અંદરથી કુદરતી રીતે પાકે છે, જ્યારે કાચી કેરી પકવીએ ત્યારે બહારથી પાકે છે.