પાટણ: કોરોના વાઇરસના સંક્રમણને લઈ પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જેવા કે સિદ્ધપુર ચાણસ્મામાં સરસ્વતી અને હારિજમાંથી અત્યાર સુધીમાં 27ના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. પાટણ શહેરમાં એક પણ પોઝિટિવ કેસ ન હોવાથી શહેરીજનો ચિંતા મુક્ત બન્યા હતા.
મંગળવારે પાટણ શહેરના રાખતાવાડાની 30 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અને તેના મોતથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પાટણ શહેરના રાખતાવાડા મહોલ્લામાં રહેતી 30 વર્ષીય મહિલાની સોમવારે રાત્રે એકાએક તબિયત બગડતાં તેને ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત જોઈને ફરજ પરના તબીબે કોરોના ટેસ્ટ સેમ્પલ લીધા હતા, તો બીજી તરફ મોડી રાત્રે મહિલાનું મોત નીપજયું હતું, પરંતુ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકની લાશને સિવિલ હોસ્પિટલમાં જ રાખી મૂકવામાં આવી હતી.
મંગળવારે સાંજે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ તંત્ર પણ રાખતાવાડા મહોલ્લામાં જઈ સર્વેલન્સની કામગીરી હાથ ધરી મહોલ્લાને સેનેટરાઈઝ કરી સીલ કર્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ મૃતકના પતિ પુત્ર તેમજ તેનાં સંપર્કમાં આવેલા અન્ય છ વ્યક્તિઓ મળી કુલ 8 લોકોને કોવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.