- પાટણ યુનિવર્સિટીમાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનો મામલો
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંઘર્ષ સમિતિ દ્વારા કરાયો ભારે વિરોધ
- કુલપતિને હોદ્દા પરથી હટાવવાની કરી માગ
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજના વર્ષ 2018ના પ્રથમ વર્ષમાં MBBSના 10 વિદ્યાર્થીઓ નાપાસ થતા, તેઓએ રિ-એસએસમેન્ટ માટેની અરજી કરી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું, તેમજ ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી દેવામાં આવી હતી અને તેમને નાપાસમાંથી પાસ કરવામાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ સમયગાળા દરમિયાન યુનિવર્સીટીના કેમેસ્ટ્રી વિભાગમાં જે વિદ્યાર્થીના વાલીઓની યુનિવર્સિટીમાં વગ કે ઓળખાણ હોય તેવા વિદ્યાર્થીઓની કોરી ઉત્તરવહીઓમાં પાછળથી લખીને પાસ કર્યાનુ બહાર આવ્યું છે. જેને લઈ શિક્ષણવિદોમાં ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચોઃ HNGUમાં વધુ એક કૌભાંડઃ કેમેસ્ટ્રી વિભાગના પૂર્વ વિદ્યાર્થીએ વીડિયો વાયરલ કર્યો
યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર આપવામાં આવ્યું
આ સમગ્ર મામલે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મંગળવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંઘર્ષ સમિતિએ યુનિવર્સિટી ખાતે આવી ભારે હોબાળો મચાવ્યો હતો અને દેખાવો કર્યા હતા. યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં જઈ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. MBBSના તેમજ કેમેસ્ટ્રી વિભાગમાં જે રીતે નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા છે, તે મામલે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે જે વોરાને તાત્કાલિક પદ પરથી હટાવવામાં આવે તેવી માગ સાથે યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું.
તપાસ કરનારા IAS અધિકારી નાગરાજનનો કર્યો વિરોધ
સરકાર દ્વારા આ સમગ્ર કૌભાંડ મામલે IAS અધિકારી નાગરાજનને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ નાગરાજન તપાસ સમિતિ સામે પણ સવાલો ઉઠાવ્યાં છે અને આ તપાસ CID(Crime Investigation Department)ને સોંપવામાં આવે તેવી માગ કરી છે. IAS અધિકારી નાગરાજન જો પાટણ યુનિવર્સિટીમાં તપાસ અર્થે આવશે તો તેનો સખત વિરોધ કરી મોં કાળું કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 5 એપ્રિલ સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં કરવામાં આવે તો યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને બંધ કરાવી જવલદ કાર્યક્રમો આપવામાં આવશે, તેવી ચીમકી પણ સંઘર્ષ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.