નવસારી: કોરોનાનો કહેર ગરીબ અને શ્રમિકો પર જ વધુ ઉતર્યો છે. મજૂરી બંધ થવાને કારણે શ્રમિકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યાં છે. જેમાં પણ પરપ્રાંતીય શ્રમિકોને તેમના માલિકો દ્વારા સહયોગ પણ ન મળતા તેમણે પોતાના વતનની વાત પકડવા સિવાય બીજો કોઈ આરો રહ્યો નથી.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનાં કાંઠાના ગામોમાં રેતી ખનન કરતા ઉત્તર પ્રદેશના 23 શ્રમિકોએ આજે બુધવારે 1200 કિમી દૂર આવેલા પોતાના વતનની વાટ પકડી હતી. જેઓ પોલીસની નજરે ચડતા તેમને અટકાવ્યા હતા અને બાદમાં પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ મધ્યસ્થી કર્યા બાદ તેમને મોકલવાની વ્યવસ્થા કરવાની ખાતરી મળતા મામલો થાળે પડ્યો હતો.
![police help up workers in navsari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-shramik-vedana-rtu-gj10031_06052020232425_0605f_1588787665_666.jpg)
ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ધોલાઈ, બીગરી અને પોંસરી ગામે અંબિકા નદીમાંથી રેતી કાઢવાની લિઝ કાર્યરત છે. જેમાં 58 પરપ્રાંતીય મજૂરો લાંબા સમયથી મજૂરી કરી પોતાનું પેટીયુ રળી રહ્યાં હતા, પરંતુ છેલ્લા 41 દિવસથી લોક ડાઉનને કારણે રેતીનો ધંધો બંધ થતા શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા હતાં. જેમાં પણ રેતી માફિયાઓ દ્વારા શ્રમિકોની સુધ ન લેવાતા 58 પૈકી 23 શ્રમિકો વતનની વાટ પકડવા મક્કમ બન્યા હતાં.
![police help up workers in navsari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-shramik-vedana-rtu-gj10031_06052020232425_0605f_1588787665_271.jpg)
પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા આજે બુધવારે સવારે કાંઠા વિસ્તારમાંથી પગપાળા જ નીકળી પડ્યા હતા. દરમિયાન 12 કીમી અંતર કાપ્યા બાદ બીલીમોરા એસટી ડેપો નજીક પહોંચતા બીલીમોરા પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની વ્યથા જાણી હતી.
![police help up workers in navsari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-shramik-vedana-rtu-gj10031_06052020232425_0605f_1588787665_892.jpg)
પરપ્રાંતીય શ્રમિકોની આપવીતી સાંભળી બીલીમોરા પોલીસના સીનિયર પો.સ.ઇ એચ.પી.ગરાસીયા તથા સ્ટાફે તેમના ચા-નાસ્તાની વ્યવસ્થા કરી, તેમને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તાલુકા મામલતદાર અશોક નાઈકને પણ ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શ્રમિકોને મોકલવાની વ્યવસ્થા કરવાની ખાતરી આપતા શ્રમિકો સમજ્યા હતા.
તમામ 58 શ્રમિકોનું રજિસ્ટ્રેશન, સ્ક્રીનિંગ જેવી કાર્યવાહી કરાવી, તેમને નવસારી રેલ્વે સ્ટેશનથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરવા તેમના માલિક એવા લિઝ ધારકોને સૂચના આપી હતી, જેથી શ્રમિકોમાં ખુશી જોવા મળી હતી અને તેઓ પરત ફર્યા હતા. હાલ તમામ શ્રમિકો લિઝ સ્થળે રહેશે અને કાર્યવાહી પૂર્ણ થતાં તેઓને ઉત્તર પ્રદેશ મોકલવાની વ્યવસ્થા પણ લિઝ ધારકો દ્વારા કરવામાં આવશે.