- આઝાદીના 75 વર્ષમાં પ્રારંભ પ્રસંગે સાયકલિસ્ટો દ્વારા દાંડી યાત્રા
- ગાંધીવાદીઓએ ગાંધી સ્મૃતિ સ્ટેશનના વિકાસની માંગ કરી
- સાયકલિસ્ટો મીઠાના સ્મારક પહોંચી કર્યુ ધ્વજ વંદન
નવસારી : ભારત આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે નવસારીના સાયકલિસ્ટ ગ્રુપના 75 સાયકલિસ્ટોએ 75 કિ.મીની મંજીલ કાપીને ઐતિહાસિક દાંડીના મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે ધ્વજવંદન કરી, મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાયકલિસ્ટ ગ્રુપ દ્વારા સ્મારકમાં 75 વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવાનો સંદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો: લાલ કિલ્લા પર ફુલોના વરસાદ સાથે ઉજવાયો સ્વતંત્રતા દિન, જૂઓ તસવીર....
ગાંધીજી સાથે જોડાયેલું એકમાત્ર રેલવે સ્ટેશન
ભારતની આઝાદીમાં નવસારીના ઐતિહાસિક દાંડીનો મીઠા સત્યાગ્રહ પાયાનો પથ્થર સાબિત થયો હતો. આઝાદી માટે અનેક વીરોએ આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દીધી હતી. આઝાદીના પ્રવેશ દ્વાર એવા દાંડીથી અંગ્રેજોએ મહાત્માની ધરપકડ કરી નવસારીથી ફ્રન્ટિયર મેલમાં પૂનાની યરવડા જેલમાં લઈ ગયા હતા, એ સ્થળ ગાંધી સ્મૃતિ તરીકે જાણીતું છે. આ ઐતિહાસિક સ્થળે સ્વતંત્રતા દિને નવસારીના સાયકલિસ્ટ ગ્રુપે ગાંધીવાદી રણજીત દેસાઈ અને કાળુ ડાંગરએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પશ્ચિમ રેલવે દ્વારા અહીં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યુ છે, પરંતુ ફક્ત એક કે બે લોકલ ટ્રેન અહીં ઉભે છે. જેથી ગાંધીવાદીઓ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે એવી લાગણી દર્શાવી રહ્યા છે, બાપુના સત્યાગ્રહ સાથે જોડાયેલું એકમાત્ર રેલવે સ્ટેશન ગાંધી સ્મૃતિ છે, અહીંથી દાંડી સીધુ પહોંચી શકાય છે. તેથી રેલવે તંત્ર ગાંધીસ્મૃતિ રેલવે સ્ટેશનને પણ સુરત સમકક્ષ બનાવે એવી આશા સાથે માંગણી કરી રહ્યા છે. આ સાથે જ સરકાર ગ્રામ્ય વિસ્તારના વિકાસ પર પૂરતું ધ્યાન આપે એવી લાગણી દર્શાવી હતી.
આ પણ વાંચો: India Independence Day 2021 : સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત
ગાંધી સ્મૃતિ સ્ટેશનથી સાયકલ યાત્રા
ગાંધી સ્મૃતિ સ્ટેશન ખાતે મહાત્માને યાદ કર્યા બાદ, ગાંધીવાદી રણજીત દેસાઈ અને કાળુ ડાંગરે 75 સાયકલ યાત્રીઓને લીલી ઝંડી બતાવી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાયકલિસ્ટ દાંડી પથથી આગળ વધતા ઐતિહાસિક દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠાના સ્મારકે પહોંચ્યા હતા. અહીં સ્મારકના કર્મચારીઓ સાથે સાયકલિસ્ટ ગ્રુપે તિરંગો ફરકાવી સલામી આપી હતી. આ સાથે સાયકલિસ્ટ ગૃપના યુવાનોએ સ્મારકમાં 75 વૃક્ષો વાવી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાઇકલ મેયરે લોકો પર્યાવરણ જાળવવા અઠવાડિયામાં એકવાર સાઇકલનો ઉપયોગ કરે એવી અપીલ કરી હતી.