નવસારી: નવસારીના જલાલપોર વિસ્તારમાં આજે મંગળવારે સવારે રાષ્ટ્રીય પક્ષી મોર બીઆરસી ભવન નજીક આવેલી ઇલેક્ટ્રિક ડીપી સાથે અથડાતા કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થતા નવસારી વન વિભાગે મૃત મોરના મૃતદેહનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચોમાસું શરૂં થતા જ નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય પક્ષી મોરના ટહૂકા સંભળાતા થયા છે. જેમાં ઘણીવાર મોર ખેતરાડી છોડી રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. આજે મંગળવારે સવારે વરસાદી માહોલમાં મહાલતો રાષ્ટ્રીય પક્ષી મોર નવસારી શહેરના પશ્ચિમ વિસ્તાર જલાલપોરમાં આવી ચડ્યો હતો. જે જલાલપોરના બીઆરસી ભવન નજીકથી ઉડવા જતા, ત્યાં આવેલી ઇલેક્ટ્રિક ડીપી સાથે અથડાયો હતો જેમાં મોરને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. મોર ડીપીની બાજુમાં રસ્તા પર પટકાયો હતો. ઘટનાની જાણ ગ્રામીણોએ નવસારી વન વિભાગને કરતા, વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાષ્ટ્રીય પક્ષી હોવાથી મોરનો કબ્જો લઇ તેનું મોત કેવી રીતે થયુ, એની માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.