મોરબી: તાજેતરમાં ઝુલતા પુલ દુર્ઘટના મૃતકોની આત્માને શાંતિ અર્થે મોરબીમાં રામકથા યોજાઈ હતી. એ વખતે દેવાયત ખવડ પણ આ કથામાં હાજરી આપીને એક કાર્યક્રમ રજૂ કરવાના હતા. એ સમયે મોરબીમાં વસતા પાટીદાર સમાજ દ્વારા દેવાયત ખવડના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. જે બાદ છેલ્લી ઘડીએ કાર્યક્રમ કેન્સલ થયો હતો. હાલ નવલા નોરતાના પર્વને અનુલક્ષીને મોરબી ખાતે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન થયું હતું. આ સમયે દેવાયત ખવડે જાહેર મંચ પર માફી માંગી હતી.
વિવાદિત નિવેદન વિશે માફી માંગી: મોરબી ખાતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત થઈ રહ્યા છે. આવા સમયે દેવાયત ખવડ પણ મોરબી ખાતે આવ્યા હતા. પાટીદાર નવરાત્રી મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી. જાહેર મંચ પર ભારતના અદના સ્વાતંત્રસેનાની લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ઉચ્ચારેલા વિવાદિત નિવેદન વિશે માફી માંગી હતી.
દિલથી માફી માગું છું: દેવાયત ખવડે જણાવ્યું હતું કે, આજથી 8 વર્ષ પહેલા યોજાયેલ લોક ડાયરા દરમિયાન મારા એક નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હતી. વીતેલા 8 વર્ષમાં સમય ગાળામાં મેં સરદાર પટેલ વિશે ઘણું વાંચ્યું અને એક બે વાર નહીં સતત 72 કલાક સુધી લોકડાયરામાં સરદાર વલ્લભભાઈ પટેલના સારા સારા પ્રસંગો વર્ણવ્યા હતા. છતાં દુનિયાને માઇનસ પોઇન્ટ જ દેખાતા હોય છે. જેમણે ઇમારત પછી અને ઝુંપડામાં પહેલા ધ્યાન આપ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલને હું વંદન કરું છું. આજે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં માં જગદંબાની સાક્ષીએ મારા નિવેદનથી પટેલ સમાજની લાગણી દુભાઈ હોય તું હું સમગ્ર પટેલ સમાજની દિલથી માફી માગું છું.