મહીસાગરઃ ખાનપુર તાલુકાના વાંકા ગામનો પંચાલ કરકુમાર શૈલેષભાઈ 2 વર્ષથી તથા વેરૈયા ગામનો પટેલ હિતેશકુમાર મહેશભાઈ 5 વર્ષથી પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા દિવસ રાત એક કરી અભ્યાસ કરી પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. જે પૈકી પંચાલ કરકુમાર પરિવારના વયોવૃધ્ધ દાદા પર ઘરના 7 વ્યક્તિના ભરણ પોષણની જવાબદારી આવી પડી હતી. જ્યારે પટેલ હિતેશકુમાર મહેશભાઈના દાદા ઉપર ઘરના 9 સભ્યોના ગુજરાનની જવાબદારી આવી હતી. મોંઘવારીના આ સમયમાં ઘરના વડીલો પર આફત તૂટી પડી હતી પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પ્રશ્ન હતો. ત્યાં બંને પિતા વગરના સંતાનોના ભણતરની સતત ચિંતા સતાવતી હતી, ત્યારે રાજય સરકારની પાલક માતા-પિતા યોજના તેમના વ્હારે આવી છે.
દાદા સામે મોટો પ્રશ્ન ઉભો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્યની અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીમાં ચાલતી પાલક માતા-પિતા યોજના તેમને મદદરૂપ થઇ છે. તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ મહિસાગરની કચેરી જરૂરી ફોર્મ, આધાર પુરાવાઓ લઇ તપાસીને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર એપ્રુવલ સમિતિમાં અરજી રજૂ કરી હતી. આ અરજીને સમિતિએ મંજૂર કરી હતી. હાલ બંને વિદ્યાર્થીઓ પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવીને તેઓનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.
વાંકા ગામનો પંચાલ કરકુમાર શૈલેષભાઈએ જણાવ્યું કે, પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી હાલ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરનો અભ્યાસ કરી રહ્યો છું.
જ્યારે વેરૈયા ગામનો પટેલ હિતેશકુમાર મહેશભાઈએ જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ મેળવી હાલ કામધેનું યુનિવર્સીટી, ગાંધીનગર અંતર્ગત ડેરી સાયન્સ કોલેજ, અમરેલી ખાતે ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન લઇ અભ્યાસ કરી રહ્યો છું. આ યોજના અમારા માટે રાજય સરકારની પાલક માતા-પિતા યોજના ખુબ જ આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. જેના થકી અમે અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે. આ યોજનાનો લાભ આપવા બદલ સરકાર સામે આભારની લાગણી પ્રગટ કરી હતી.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નીરવ પંડ્યાએ જણાવ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતાની અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે કાર્યરત પાલક માતા-પિતા યોજના હેઠળ 18થી નીચેના એવા બાળકો જેઓના માતા-પિતા મૃત્યુ પામેલા છે અથવા પિતાના મૃત્યુ બાદ માતાએ પુનઃલગ્ન કરેલા હોય અને તેના બાળકો તેમની સાથે ન રહેતાં હોવા જોઈએ. પરંતુ આવા બાળકો તેમના પરિવારના દાદા-દાદી, નાના-નાની કે અન્ય કુટુંબીજનો સાથે રહી અભ્યાસ કરતા હોય તેવા બાળકોને દર મહીને રૂપિયા 3,000ની સહાય બાળક કે બાળકી 18 વર્ષની થાય ત્યાં સુધી DBTના માધ્યમથી ચૂકવવામાં આવે છે.
હાલ મહિસાગર જીલ્લામાં અત્યાર સુધી કુલ-618 જેટલા બાળકો આ પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે.